સેટેલાઇટ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ ૨૦૨૬નાં અંત સુધી સમગ્ર દેશમાં શરૃ થઇ જશે. જેના કારણે યાત્રીઓને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં અને સરકારનીે આવકમાં વધારો થશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એક પ્રશ્રનાં જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાને જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી સેટેલાઇટ અને એઆઇ આધારિત હશે અને વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં.
તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે ૧૫૦૦ કરોડ રૃપિયાનું ઇઁધણ બચશે અને સરકારની આવકમાં ૬૦૦૦ કરોડ રૃપિયાનો વધારો થશે. ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય શૂન્ય થઇ જશે.
તેમણે જણાવ્યું હતું કે મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ (એમએલએફએફ)એ ખૂબ જ સારી સુવિધા છે. અગાઉ આપણને ટોલ પર ચુકવણી પડતી હતી જેમાં ૩ થી ૧૦ મિનિટનો સમય લાગતો હતો. ત્યારબાદ ફાસ્ટટેગને કારણે સમય ઘટીને ૬૦ સેકન્ડ કે તેનાથી પણ ઓછો થઇ ગયો. અમારી આવકમાં ૫૦૦૦ કરોડ રૃપિયાનો વધારો થયો છે. ફાસ્ટટેગના સ્થાને આવેલ એમએલએફએફમાં કાર ટોલ પરથી મહત્તમ ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઇ શકે છે અને તેમને ટોલ પર કોઇ પણ રોકશે નહીં.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે આ સમય ઘટીને શૂન્ય મિનિટ થઇ જાય. જેમાં સેટેલાઇટ તથા ફાસ્ટટેગ તથા એઆઇની મદદથી નંબર પ્લેટની ઓળખ કરવામાં આવશે.
ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૨૬નાં અંત સુધીમાં અમે આ કાર્ય ૧૦૦ ટકા પૂર્ણ કરી લઇશું. એક વખત આ કાર્ય પૂર્ણ થઇ ગયા પછી ૧૫૦૦ કરોડ રૃપિયાનું ઇંધણ બચશે તથા અમારી આવકમાં ૬૦૦૦ રૃપિયાનો વધારો થશે.
