મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત અંગે અનેક અફવાઓ ઉડી રહી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી દેશવાસીઓને ગભરાટમાં આવીને ‘પૅનિક બુકિંગ’ ન કરવા માટે અપીલ કરી છે.

બુકિંગમાં અચાનક ઉછાળો
સુજાતા શર્માએ જણાવ્યું કે, ‘દેશમાં સરેરાશ દરરોજ 50 થી 55 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હોય છે, પરંતુ અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો વધીને 75-76 લાખ સુધી પહોંચી ગયો છે. પુરવઠો પૂરતો છે, માત્ર લોકો જરૂર કરતા વધારે બુકિંગ કરી રહ્યા હોવાથી સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે.’
સરકાર એક્શન મોડમાં
ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કોલ સેન્ટરમાં સીટો વધારીને 400 કરવામાં આવી છે અને ટેલિફોન લાઈનોની સંખ્યા 50 કરાઈ છે, જેથી લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે.પેટ્રોલિયમ મંત્રાલય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી છે. સંગ્રહખોરી અને બ્લેક માર્કેટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પ્રશાસન, DM અને SPને સૂચના અપાઈ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
વિવિધ રાજ્યોમાં કડક કાર્યવાહી
દેશભરમાં ગેરકાયદે સ્ટોરેજ અને ચોરી સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ઝાંસીમાં સિલિન્ડર ભરેલો ચોરાયેલો ટ્રક પોલીસે શોધી કાઢ્યો છે, જ્યારે હાપુડમાં ગેરકાયદે સિલિન્ડર ઝડપાતા ગોદામ સીલ કરાયું છે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગે અનેક સ્થળોએ દરોડા પાડી ગેરકાયદે સ્ટોર કરેલા સિલિન્ડરો જપ્ત કર્યા છે.
સરકારનો સંદેશ
“અફવાઓ પર વિશ્વાસ ન કરો. દેશમાં ફ્યુઅલ સપ્લાય સતત ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવો જેથી દરેક નાગરિક સુધી ગેસ પહોંચી શકે.”

