નવા નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત સાથે જ 1 એપ્રિલથી દેશમાં ટેક્સ, બેન્કિંગ અને સામાન્ય જનજીવનને સ્પર્શતા અનેક મોટા ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર પગારદાર કર્મચારીઓ અને ટેક્સપેયર્સના ખિસ્સા પર પડશે. સૌથી મોટો ફેરફાર ઇનકમ ટેક્સના કાયદામાં છે, જ્યાં જૂના 1961ના કાયદાના સ્થાને હવે ‘નવો આવકવેરા અધિનિયમ 2025’ લાગુ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
પગારદાર કર્મચારીઓ માટે HRA(હાઉસ રેન્ટ એલાઉન્સ) ક્લેમ કરવાના નિયમો હવે વધુ કડક બન્યા છે. જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવતા હોવ, તો મકાનમાલિકનો PAN નંબર આપવો ફરજિયાત છે. એટલું જ નહીં, નવા ‘ફોર્મ 124’ મુજબ તમારે એ પણ સ્પષ્ટ કરવું પડશે કે મકાનમાલિક તમારા પરિવારના સભ્ય છે કે નહીં. બીજી તરફ, હવે નવું PAN કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું નહીં ગણાય; તે માટે વધારાના દસ્તાવેજો આપવા અનિવાર્ય બનશે, જેથી સુરક્ષા અને ચકાસણીની પ્રક્રિયા વધુ મજબૂત કરી શકાય.

ક્રેડિટ કાર્ડના વપરાશકારો માટે હવે સાવધ રહેવાનો સમય છે. જો તમે વર્ષ દરમિયાન ડિજિટલ માધ્યમથી 10 લાખથી વધુ અથવા કેશમાં 1 લાખથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો છો, તો તેની જાણકારી સીધી આવકવેરા વિભાગને પહોંચશે. જોકે, સરકારે રાહત આપતા હવે ટેક્સ ભરવા માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગની મંજૂરી આપી છે, જે અગાઉ માત્ર નેટ બેન્કિંગ કે ડેબિટ કાર્ડ સુધી મર્યાદિત હતી. આ ઉપરાંત, જો કંપની તરફથી મળેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અંગત ખર્ચ માટે થશે, તો તેને કર્મચારીનો લાભ ગણી તેના પર ટેક્સ લાગી શકે છે, પરંતુ ઓફિશિયલ કામ માટેના ખર્ચ પર કોઈ ટેક્સ નહીં લાગે.
પર્યાવરણની જાળવણી અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા માટે સરકારે 1 એપ્રિલથી દેશભરમાં વેચાતા પેટ્રોલમાં 20% એથેનોલ ભેળવવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નવા ઈંધણની ગુણવત્તા માટેના નવા ધોરણો પણ લાગુ થશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
