દિલ્હી પોલીસે લશ્કર-એ-તોયબાના આતંકી શાબિર અહમદ લોનની ધરપકડ કરી હતી. બાદમાં તેને દિલ્હીની કોર્ટમાં રજુ કરાયો હતો જ્યાં પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શાબિર અહમદ લોનને પોલીસે તાલિમ પામેલ ખુંખાર આતંકવાદી ગણાવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ ગાઝીપુર વિસ્તારમાંથી શાબિર અહમદ લોન ઝડપાયો હતો, રાજા અથવા કાશ્મીરી તરીકે ઓળખાતા શાબિર અહમદ લોનની વધુ વિગતો જાહેર કરાઇ છે. તે મૂળ શ્રીનગરનો રહેવાસી છે. દિલ્હી અને કોલકાતામાં તાજેતરમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવવામાં પણ તેનો હાથ હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોન પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ સાથે મળીને ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં હતો, તે લાંબા સમય સુધી બાંગ્લાદેશમાં હતો અને ત્યાંથી જ ભારત વિરોધી કાવતરા ઘડી રહ્યો હતો. આ માટે તે આતંકવાદીઓની ભરતી કરવામાં પણ સક્રિય હતો. જે વાંધાજનક પોસ્ટરો મળી આવ્યા હતા તેની પાછળ લોનનો હાથ હતો, આ પોસ્ટરોમાં જૈશ-એ-મોહમ્મદનો ઠાર મરાયેલો આતંકી બુરહાન વાની અન્ય કેટલાક આતંકીઓની તસવીરો છપાઇ હતી, સાથે જ કાશ્મીર આઝાદ કરોના સુત્રો લખ્યા હતા.

