નેતાઓ દ્વારા અપાતી હેટ સ્પીચનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે રાજકીય પક્ષો અને રાજનેતાઓએ દેશમાં ભાઇચારો વધે તેવા જ પ્રયાસો કરવા પડે અને બંધારણીય મૂલ્યોનું પાલન કરવું પડે એકબીજાનું માન જાણવીને ચૂંટણી લડવી જોઇએ. જોકે હેટ સ્પીચ માટે ગાઇડલાઇન જાહેર કરવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી જોકે કેટલાક સુધારા સાથે આ મામલે નવી અરજી દાખલ કરવાની પણ સુપ્રીમે અરજદારને છૂટ આપી છે.

આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સર્મા દ્વારા અપાયેલી કથિત હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ બીવી નાગરત્ના, જોયમાલ્યા બાગ્ચીની બેંચ દ્વારા આ પિટિશનની સુનાવણી કરાઇ હતી જેને નવ લોકો દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં બંધારણીય પદ ધરાવતી વ્યક્તિ દ્વારા ગેરબંધારણીય સ્પીચ આપવા પર રોક લગાવવા ગાઇડલાઇન જાહેર કરવા માગ કરાઇ હતી.
અરજદારો તરફથી હાજર વરીષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે નેતાઓ દ્વારા હેટ સ્પીચ આપવી ખરેખર ટોક્સિક બનતું જાય છે, આ અંગે કઇક યોગ્ય પગલા લેવાની જરૂર છે. આ અરજી કોઇ વ્યક્તિગત ટાર્ગેટ નથી. જવાબમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે અરજી ખરેખર વ્યક્તિગત ટાર્ગેટ છે, કેમ કે તેમાં માત્ર હેમંતા બિસ્વા સર્માના ભાષણનો જ ઉલ્લેખ છે. બાદમાં કપિલ સિબ્બલ તેનો ઉલ્લેખ હટાવવા તૈયાર થઇ ગયા હતા.
સુપ્રીમે નવેસરથી અરજી કરવાની છૂટ આપી હતી. જ્યારે બેંચમાં સામેલ ન્યાયાધીશ નાગરત્નાએ મૌખિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાજનેતાઓએ દેશમાં ભાઇચારો વધે તેવા પ્રયાસો કરવા જોઇએ. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ એક સવાલ વિચારોને લઇને કર્યો હતો, તેમણે કહ્યું હતું કે વ્યક્તિ બોલે તે પહેલા તેના મનમાં વિચાર આવે છે, કોઇના વિચારને કેવી રીતે કન્ટ્રોલ કરી શકાય? માની લો કે હેટ સ્પીચ રોકવા ગાઇડલાઇન જાહેર કરી દઇએ પરંતુ શું તેનું યોગ્ય રીતે પાલન થશે? બાદમાં આ સમગ્ર મામલે બે સપ્તાહ બાદ સુનાવણી કરવાનું સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું હતું.

