ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વપૂર્ણ વ્યાપાર કરાર પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. PM મોદીએ જણાવ્યું હતું કે, આ સમજૂતી બંને દેશો વચ્ચેના અતૂટ વિશ્વાસ અને મજબૂત સંબંધોનું પરિણામ છે. આ ડીલ દ્વારા ભારતીય ખેડૂતો, સ્ટાર્ટઅપ્સ અને માછીમારો માટે વૈશ્વિક બજારના દ્વાર ખુલશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને એક નવી ગતિ મળશે.

શું છે આ ટ્રેડ ડીલની મુખ્ય વાતો?
આ કરાર અંતર્ગત અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલો 25 ટકાનો વધારાનો ટેરિફ (દંડ) પાછો ખેંચી લીધો છે. હવે કુલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિમાન (એરક્રાફ્ટ) અને તેના ઉપકરણો પરની ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવી છે. આ પગલાથી ભારતીય નિકાસકારોને અમેરિકન બજારમાં મોટો ફાયદો થશે.
કોને થશે સૌથી વધુ ફાયદો?
PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે, આ કરારથી નીચેના ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે:
ખેડૂતો અને માછીમારો: નવા બજારો મળવાથી તેમની આવકમાં વધારો થશે.
MSME અને સ્ટાર્ટઅપ: નાના ઉદ્યોગોને તેમની પ્રોડક્ટ્સ અમેરિકામાં સરળતાથી વેચવાની તક મળશે.
ઉદ્યોગસાહસિકો: ટેકનિકલ સહયોગ અને રોકાણના નવા રસ્તાઓ ખુલશે.
ખેતી અને ડેરી સેક્ટરને સુરક્ષિત રખાયું
આ ડીલની સૌથી મોટી ખાસિયત એ છે કે ભારતે પોતાના સંવેદનશીલ ક્ષેત્રો જેવા કે ખેતી અને ડેરી ઉત્પાદનોને આ કરારથી સુરક્ષિત રાખ્યા છે. ઘઉં, બાજરી, દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સ પર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી, જેથી ભારતીય ખેડૂતોના હિતોને કોઈ આંચ ન આવે.

