મણિપુર પોલીસના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું, “તામેંગલાંગના સરહદી લેઇસંગફાઈ ગામમાં આજે કેટલાક અજાણ્યા હથિયારબંદ હુમલાખોરોએ ગોળીબાર કર્યો, જેમાં બે મહિલાઓનાં મોત થયાં છે. પોલીસે વિસ્તારમાં હુમલાખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે.”
આ હુમલામાં મારાયેલી મહિલાઓની ઓળખ 60 વર્ષની ચોંગા સિટલ્હો અને 30 વર્ષની કિમ્બોઈ સિંગસન તરીકે કરવામાં આવી છે.
કુકી જનજાતિનાં મુખ્ય સંગઠનોનો આરોપ છે કે સંદિગ્ધ ઉગ્રવાદીઓએ ચોંગા સિટલ્હોને તે સમયે ગોળી મારી હતી જ્યારે તેઓ પોતાના ખેતરમાં લાકડાં ભેગાં કરી રહ્યાં હતાં, જ્યારે કિમ્બોઈને ઉગ્રવાદીઓએ ખેતરમાંથી ઘરે પરત ફરતી વખતે ગોળી મારી હતી.
મણિપુરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લાઓમાં થયેલી હિંસામાં કુલ છ લોકોની હત્યા કરવામાં આવી છે.

ગયા ફેબ્રુઆરી મહિનાથી કુકી જનજાતિ અને તાંગખુલ નાગાઓ વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. માત્ર છ મહિનામાં બંને સમુદાયોના 30થી વધુ લોકો માર્યા ગયા છે.હિંસાની તાજેતરની ઘટનાઓમાં મહિલાઓને નિશાન બનાવવામાં આવી છે. તામેંગલાંગમાં આ બે મહિલાઓની હત્યાને લઈને કુકી જનજાતિનાં ઘણાં મુખ્ય સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે.
કુકી ઇનપી મણિપુરે નિર્દોષ ગ્રામ્ય મહિલાઓ પર કોઈપણ ઉશ્કેરણી વિના કરાયેલા હુમલા અને તેમની હત્યાની કડક નિંદા કરી છે.કુકી ઇનપીએ એક લેખિત નિવેદન બહાર પાડીને કહ્યું, “છેલ્લા ત્રણ દિવસમાં કુકી સમુદાયના છ નિર્દોષ ગ્રામજનોની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આજે લેઇસંગફાઈ ગામની આ બે મહિલાઓની તેમનાં જ ખેતરોમાં ગોળી મારીને મારી નાખવામાં આવી. કેન્દ્ર અને રાજ્ય સરકારો ક્યાં છે? કુકી-ઝો નાગરિકો પર વારંવાર થતા હુમલાઓ છતાં અધિકારીઓ કેટલા સમય સુધી મૌન રહેશે?”
આ હુમલાને લઈને કુકી ઇનપીએ નાગા ઉગ્રવાદી સંગઠન એનએસસીએન-આઈએમ અને ઝેડયુએફ (કામસન) જૂથ પર આરોપ લગાવ્યા છે.
જોકે, અત્યાર સુધી ન તો કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને ન તો નાગા ઉગ્રવાદી સંગઠનોએ આ આરોપોનો કોઈ જવાબ આપ્યો છે.

