સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં દેશમાંથી ૭.૭૫ લાખ ટન ખાંડ નિકાસ થવા પામી હતી. ઓકટોબરથી શરૂ થયેલી નવી મોસમ માટે નિકાસ કવોટા જલદી જાહેર કરવા ખાંડ ઉદ્યોગ દ્વારા સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે.

સમાપ્ત થયેલી મોસમ માટે ખાંડની નિકાસ મંજુરી જાન્યુઆરીમાં આપવામાં આવી હતી. કુલ ૧૦ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપવામાં આવી હતી.
ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (એઈસ્ટા)ના ડેટા પ્રમાણે ગઈ મોસમના ફેબુ્રઆરીથી સપ્ટેમ્બરના ગાળામાં કુલ ૭.૭૫ લાખ ટન ખાંડ છૂટી કરવામાં આવી હતી. એકંદર નિકાસમાં ૬.૧૩ લાખ ટન વ્હાઈટ સુગર રહી હતી જ્યારે રિફાઈન્ડ સુગરનો નિકાસ આંક ૧.૦૪ લાખ ટન રહ્યો હતો. કાચી ખાંડનો આ આંક ૩૩૩૩૮ ટન રહેવા પામ્યો હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.૨૧૦૦૦ ટન જેટલી રો સુગર એસઈઝેડ ખાતેની રિફાઈનરીઓને રવાના કરાઈ હતી જેને નિકાસ તરીકે માનવામાં આવે છે.
સમાપ્ત થયેલી ખાંડ મોસમમાં વધુ પડતી નિકાસ સોમાલિયા, શ્રીલંકા, દ્જિબોઉટી અને અફઘાનિસ્તાન ખાતે થઈ હતી.
ઓકટોબરથી શરૂ થયેલી નવી ખાંડ મોસમ માટેનો નિકાસ કવોટા નવેમ્બર સુધીમાં જાહેર કરી દેવા ઉદ્યોગ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

