NATIONAL : હવાઈ મુસાફરી મોંઘી થશે? સરકારે ઈન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઈસ કેપ હટાવી

0
9
meetarticle

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક હવાઈ મુસાફરી માટેના ભાડા પર લાદવામાં આવેલી અસ્થાયી મર્યાદા પાછી ખેંચી લીધી છે. ઉડ્ડયન ક્ષેત્રે ફ્લાઈટ કામગીરી હવે સામાન્ય થઈ હોવાનું જણાવી મંત્રાલયે આ નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ, 23 માર્ચ 2026 થી આ ભાડા મર્યાદા નાબૂદ કરવામાં આવશે.

કેમ લાદવામાં આવી હતી મર્યાદા?

ડિસેમ્બર 2025માં ઈન્ડિગો (IndiGo) એરલાઈન્સમાં પાયલટ રોસ્ટરિંગ સંકટને કારણે હજારો ફ્લાઈટ્સ રદ થઈ હતી. આ સ્થિતિનો લાભ લઈને એરલાઈન્સ કંપનીઓ ટિકિટના ભાવમાં અસાધારણ વધારો ન કરે અને મુસાફરોના હિતો જળવાય તે માટે સરકારે 6 ડિસેમ્બર 2025ના રોજ ઈમરજન્સી ભાડા મર્યાદા લાદી હતી.

અગાઉ શું હતા નિયમો?

ભાડા મર્યાદા હેઠળ ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા હતા. 500 કિમી સુધી વન-વે ઈકોનોમી ભાડું મહત્તમ રૂ. 7,500. 1,000 થી 1,500 કિમી મહત્તમ ભાડું રૂ. 15,000. 1,500 કિમીથી વધુ મહત્તમ ભાડું રૂ. 18,000 નક્કી કરાયું હતું.

એરલાઈન્સ કંપનીઓને ચેતવણી

ભાડા મર્યાદા હટાવવાની સાથે મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓને શિસ્ત જાળવવા અને જવાબદારીપૂર્વક વર્તવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભાડા વ્યાજબી, પારદર્શક અને બજારની સ્થિતિ મુજબ હોવા જોઈએ. જો પીક ડિમાન્ડ કે કોઈ કટોકટીના સમયે એરલાઈન્સ ભાડામાં અયોગ્ય વધારો કરશે, તો સરકાર તેને ગંભીરતાથી લેશે.સરકાર રીઅલ-ટાઈમ ધોરણે ભાડાના ટ્રેન્ડનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે. જો જાહેર હિતમાં જરૂર જણાશે, તો સરકાર ફરીથી ભાડા પર નિયંત્રણો લાદવાની સત્તા અનામત રાખે છે. મંત્રાલયે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને સમગ્ર સેક્ટરમાં હવાઈ ભાડા પર સતત નજર રાખવા વિનંતી કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here