ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યાં બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ખાસ કરીને શહેરાના મોરવા રેણા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.મળતી માહિતી અનુસાર, સોમવારે (બીજી ફેબ્રુઆરી) વહેલી સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વગર સિઝને વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીમાં પણ વધારો થયો છે. જોકે, આ આહલાદક ઠંડક ખેડૂતો માટે મુસીબત લઈને આવી છે.

ખેડૂતોએ ભારે મહેનત બાદ રવિ પાક તૈયાર કર્યો છે, ત્યારે આ માવઠું તેમના માટે ‘આફત’ સમાન સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોના મતે, આ ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ફૂગ અને જીવાત પડવાની પૂરેપૂરી શક્યતા છે. જો વરસાદી માહોલ વધુ સમય ચાલશે, તો તૈયાર થયેલો પાક બગડી શકે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
