જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી થતી સફાઈ કામગીરી બંધ કરવા અને ત્રણ દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ, જંબુસર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંઘના પ્રમુખ મણીલાલ ડી. સોલંકીની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો જે વંશપરંપરાગત રીતે કામ કરે છે, તેમના વારસદારોને મહેકમમાં ખાલી પડેલી જગ્યાઓ પર રોજમદાર તરીકે ફરજ બજાવવા દેવામાં આવે. સંઘે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સાત દિવસમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. અગાઉ પણ આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પગલાં ન લેવાતા ફરી એકવાર આ પગલું ભરવામાં આવ્યું છે. આ આવેદનપત્ર આપવા માટે સંઘના મંત્રી બાબુભાઈ સોલંકી સહિત અન્ય હોદ્દેદારો અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


