રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા માટેની એક ખૂબ જ મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા માટેની એક ખૂબ જ મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આજી નદીના કાંઠા વિસ્તારમાં વર્ષોથી ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અંદાજે 1487 જેટલા મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવશે. આ કામગીરીથી અંદાજે 87 હજાર ચોરસ મીટર કિંમતી જગ્યા ગેરકાયદે દબાણમાંથી મુક્ત થશે.

આજી નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં થયેલા કાચા-પાકા દબાણો. તંત્ર દ્વારા લેવામાં આવેલા ડ્રોન ફૂટેજ અને આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આજી નદીના કાંઠે મોટા પાયે ગેરકાયદે બાંધકામ ફૂટી નીકળ્યું હતું. નદીના કુદરતી પ્રવાહને અવરોધતા આ દબાણો દૂર કરવા કોર્ટ અને સરકારના આદેશ બાદ હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આવતીકાલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક જેસીબી અને બુલડોઝરની મદદથી આ ઓપરેશન શરૂ કરવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પણ તૈનાત રહેશે. આ મેગા ડિમોલિશનને પગલે જંગલેશ્વર વિસ્તારમાં ભારે ફફડાટ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
