રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસ કમિશનરની કચેરીમાં જ ફરજ બજાવતા એક એસઆરપી જવાને ફરજ પર ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. SRP જવાનની ઓળખ ગજુભા જિલુભા રાઠોડ તરીકે થઈ છે, જેમની ઉંમર 50 વર્ષ હતી.

ક્યારે બની ઘટના?
મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે બની હતી. ગજુભાએ પોતાની સર્વિસ રાઈફલથી છાતીમાં ગોળી મારી જીવ ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ તેમને તુરંત સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, SRP જવાને આપઘાત કેમ કર્યો તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
ગજુભા કચ્છના રહેવાસી હતા અને તેમને બે દીકરીઓ પણ છે. તે એસઆરપી ગ્રુપ 13C માં ફરજ બજાવતા હતા. રાજકોટની પોલીસ કમિશનર કચેરીમાં તૈનાત થયાને તેમને ચાર મહિના જ થયા હતા. જોકે હવે તેમના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
