રાજકોટમાં સતત ત્રણ દિવસથી, નવરાત્રિની રાત્રિના સમયે વરસાદ વરસતા રાજકોટમાં ૫૦ અર્વાચીન દાંડિયારાસ અને નાની-મોટી ૬૦૦થી વધુ ગરબીઓના આયોજકો ચિંતામાં મુકાયા હતા અને આયોજનો વેરવિખેર થયા હતા.

રવિવારની રાત્રે ધોધમાર વરસાદ વરસ્યા બાદ ગઈકાલે દિવસના ઉઘાડ રહ્યો પરંતુ, રાત્રિના ઝરમર વરસાદ વરસતા ખેલૈયા,દર્શકો ભીંજાયા હતા. આજે સાંજે સાર્વત્રિક ઝરમર વરસાદ બાદ રાત્રિના રાસ-ગરબા શરુ થવાના સમયે જ ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. જ્ના પગલે કેટલાક અર્વાચીન રાસના મેદાનોમાં પાણી ભરાયા હતા. જ્યાં દાંડિયારાસ રમવા માટે નાણાં વસુલાય છે તેવા અર્વાચીન રાસમાં થોભો અને રાહ જુઓની નીતિ જોવા મળી હતી તો પ્રાચીન ગરબીઓના સ્થળે માતાજીની આરતી કરીને તાલપત્રી ઢાંકી દેવાઈ હતી.
રાસ-ગરબાના આયોજનો વેરવિખેર થવા સાથે મહાપાલિકા, માર્ગ મકાન વિભાગ વગેરે દ્વારા ચાલતા રસ્તા પરના ડામરકામને પણ બ્રેક લાગી છે અને અધકચરા રિપેરીંગ થયા ત્યાં ખાડા ફરી મોં ફાડી રહ્યા છે. તો બીજી તરફ, દિવાળી પૂર્વે લોકો ઘરની સફાઈ, રંગરોગાન, મરમ્મત વગેરે કામગીરી પણ થતી હોય છે અને ખરીદી થતી હોય છે તેને પણ વરસાદી માહૌલથી માઠી અસર પહોંચી હતી.

