દિવાળી પછીના બે પર્વો એ કુદરતના કોપથી ઈશ્વર દ્વારા થતું રક્ષણ અને ગૌમાતા અને પર્યાવરણનું મહત્વ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણના જીવનના બે મહત્વના પ્રસંગો વર્ણવે છે. ગત તા. 22ના ગોવર્ધન પૂજા થઈ ત્યારે આવતીકાલ તા. 30ના ગોપાષ્ટમી ઉજવાશે જે દિવસ (કારતક સુદ આઠમ) ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર 6 વર્ષની ઉંમરે હઠ કરીને ગાયો ચરાવવાનો પ્રારંભ કરીને સમસ્ત જગતને ગૌમાતાનું મહત્વ સમજાવ્યું હતું.

ગોવર્ધન પર્વત એ મનુષ્યોની સાથે ગૌમાતાનું રક્ષણ પણ એટલું જ જરૂરી હોવાનું સમજાવી જાય છે. આજે જેમ દિવાળી પછી મુશળધાર માવઠાં વરસ્યા તેમ એ કાળમાં પણ વરસાદના દેવ ઈન્દ્રદેવની પૂજા બંધ કરાવીને પર્વત,ગાયોની પૂજા શરૂ કરાવાતા ઈન્દ્રએ ક્રોધિત થઈને મુશળધાર વરસાદ વરસાવતા તેનાથી પ્રજાનું અને ગૌમાતાનું રક્ષણ કરવા ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડયો હતો જે પર્વત આજે પણ વૃંદાવનમાં વિદ્યમાન છે અને દેશના કરોડો ઉપરાંત વિદેશી ભક્તો માટે પણ મહત્વ ધરાવે છે.
જ્યારે બાળવયમાં કૃષ્ણ ગાયો ચરાવવા જવાની જીદ પકડી, જશોદા માતાએ નંદ બાવાને પુછવા કહ્યું અને કૃષ્ણ અને બલરામ પિતાજીની મંજુરી લઈને ગાયો ચરાવવા જઈને ગાયો ચરાવવાનું શરૂ કર્યું અને જનતાએ ત્યારથી કૃષ્ણનું નામ ગોપાલ, ગોવિંદ પાડયું જે આજે પણ પ્રચલિત છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે ગૌશાળાઓમં તથા જાહેર સ્થળે ગૌમાતાના પૂજનના તથા કૃષ્ણ – બલરામના પૂજનના આયોજનો થયા છે.

