યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રીચામુંડા માતાજીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પવિત્ર પર્વની તા.૨ના પરંપરાગત ઉજવણી કરવામાં આવશે.

દસનામ ગોસ્વામી મહંત પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવશે.તા. ૨ને સોમવારના રોજ હોળીના દિવસે સંધ્યા આરતી બાદ તેની લોહની જ્યોતમાંથી હોળી પ્રગટાવવામાં આવશે. અને વિધિવત પૂજન-અર્ચન સાથે હોલિકા દહનનો કાર્યક્રમ સંપન્ન થશે.ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ડુંગર ઉપર હોળી પ્રાગટય થયા બાદ તેની જ્વાળા નિહાળી અન્યત્ર હોળી દહન કરવાની પ્રાચીન પરંપરા આજે પણ જોવા મળે છે.હોળી અને પૂનમના દિવસે ભક્તોની દર્શન માટની ભીડને ધ્યાનમાં રાખીને તા.૨ના સવારે ૫ કલાકે ભાવિકો માટે ડુંગર પગથિયાના દ્વાર ખુલશે અને નીજ મંદિર ખાતે સવારે ૫૩૦ કલાકે મંગળા આરતી થશે.
ફાગણી પૂનમ તા.૩ને મંગળવારે વહેલી સવારે ૨.૦ કલાકે પગથિયાનાદ્વાર ખુલશે. તેમજ ૩કલાકે મંગળા આરતી કરવામાં આવશે. સાંજની આરતી રાબેતા મુજબ દરરોજની જેમ સૂર્યાસ્તના સમયે નિયમિત રીતે કરવામાં આવશે. તા. ૩ના રોજ ચંદ્રગ્રહણ હોવા છતાં ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ આખો દિવસ ખુલ્લું રહેશે.

