રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળાના આંકડામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આંકડાકીય માહિતી મુજબ, શહેરમાં શરદી-ઉધરસના 1,049 અને સામાન્ય તાવના 783 જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, દૂષિત પાણી અને ખોરાકને કારણે ઝાડા-ઉલટીના 198 કેસ સામે આવ્યા છે. જીવલેણ મચ્છરોનો કહેર પણ યથાવત છે, જેમાં ડેન્ગ્યુના ૨ નવા કેસ પોઝિટિવ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સતર્ક બન્યું છે.

તંત્રની ગાજ
રોગચાળાને કાબૂમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્યની ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૬09 ઘરોમાં ફોગિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ મળી આવતા 128 રહેણાંક મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા 34 કોમર્શિયલ એકમો સામે પણ લાલ આંખ કરી નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ લોકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા અને આરોગ્યપ્રદ ખોરાક લેવા અપીલ કરી છે.

