કચ્છથી નીકળીને મોરબી જિલ્લામાંથી પસાર થતી હેવી વીજલાઈન મુદે ચાલી રહેલા વિવાદમાં આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સેંકડો ખેડૂતોએ ઉમટીને ટંકારાથી મોરબી સુધી 300થી વધુ ટ્રેક્ટરો સાથે રોષભેર વિશાળ રેલી કાઢી હતી. જો કે, મોરબીની રાજપર ચોકડી સુધી પહોંચેલી ટ્રેક્ટર રેલીને શહેરમાં પ્રવેશ નહિ મળતા ત્યાં થોભી જઈને ખેડૂત આગેવાનોએ કલેકટરને મળીને ખેતરોમાં આડેધડ નંખાતા વીજપોલ અને વળતર મુદ્દે રોષભેર રજૂઆત કરી હતી. બીજી તરફ આજે અનિચ્છનીય બનાવની શક્યતાના પગલે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.મોરબીમાં આજે ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલીને પગલે 2 DYSP, 8 PI 15 જેટલા PSI અને 100 થી વધુ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. 300 જેટલા ટ્રેક્ટર સાથેની વિશાળ રેલી મોરબી આવી પહોંચતા, રાજપર ચોકડી પાસે અટકાવી દેવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ નહિ માટે ટ્રેક્ટર રેલીને શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જો કે ખેડૂત આગેવાનોએ ત્યાંથી શાંતિપૂર્ણ રીતે કલેકટર પાસે જઈને રૂબરૂ મળી ખેડૂતોના વીજલાઈન મુદે આ સાથે આવેદન પાઠવ્યું હતું અને ખેડૂતોના ખેતરમાં મંજુરી વિના પ્રવેશ નહીં કરવા, જમીન વળતર રાજસ્થાન મુજબ ચાર ગણું આપવું, વીજ પોલ પ્રમાણે વળતર અને ફેન્સીંગમાં દર મહીને વળતર સહિતની માંગણીઓ કરવામાં આવી હતી.

ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે, વીજલાઈન પ્રશ્ને 327 ખેડૂતોને સાંભળવા બોલાવ્યા હતા, પણ બાદમાં રાતોરાત એ ચર્ચા રદ કરવામાં આવી હતી. આજે ટ્રેક્ટરો નહીં આવવા દેવા પ્રયાસ થયા હતા. બાદમાં કલેકટરે મળવા બોલાવતા રજૂઆત કરી હતી કે કંપની નિયમોનું પાલન કરતી નથી તેમજ જમીન સંપાદન કાયદા સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા, પણ કલેકટર પાસે જવાબ નથી. જાહેરનામા પૂર્વે જમીન બિનખેતી થઇ હોવા છતાં તેમાં કેમ વીજલાઈન નાખવામાં આવી ? જેવી બાબતોની રજૂઆત કરી હતી પણ કલેકટર ખેડૂતોના પ્રશ્નો મુક પ્રેક્ષક બની સાંભળતા રહ્યા હોવાના પ્રહારો કર્યા હતા.

