ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો અને લાખો શ્રદ્ધાળુઓ માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માથી અમદાવાદના અસારવા સુધી વાયા હિંમતનગર નવી ઈલેક્ટ્રિક રેલવે સેવા શરૂ થવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ રૂટ પર ઈન્સ્પેક્શન ટ્રેન એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું છે.

અંતિમ ટ્રાયલ રન અને નિરીક્ષણ પૂર્ણ
હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના મીટરગેજ ટ્રેકને ઈલેક્ટ્રિક બ્રોડગેજમાં રૂપાંતરિત કર્યા બાદ, હવે ટ્રેન દોડાવવા માટેનું પરીક્ષણ તેજ કરવામાં આવ્યું છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ સીઆરએસ (CRS) બાદ હવે ફાઈનલ ટ્રાયલ રન ઈન્સ્પેક્શન કર્યું છે. આ ટ્રાયલ રનનો રિપોર્ટ સબમિટ થયા બાદ ટૂંક સમયમાં જ આ રૂટ પર નિયમિત ટ્રેન સેવા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
એપ્રિલ સુધીમાં શરૂ થશે નવી ટ્રેન સેવા
સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરેલી રજૂઆત બાદ આ પ્રોજેક્ટમાં ગતિ આવી છે. સાંસદની સક્રિયતાને કારણે હવે એવી સંભાવના છે કે એપ્રિલ 2026 સુધીમાં ખેડબ્રહ્મા-અસારવા ટ્રેન સેવા ઉત્તર ગુજરાતની જનતા માટે કાર્યરત થઈ જશે. આ નવી સુવિધાને કારણે ખેડબ્રહ્માથી અમદાવાદ પહોંચવું ઘણું સરળ અને ઝડપી બનશે.
લાખો શ્રદ્ધાળુઓને થશે સીધો ફાયદો
આ રેલવે લાઈન શરૂ થવાથી સૌથી મોટો લાભ ભાદરવી પૂર્ણિમાના મેળામાં જતા લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને મળશે. ખેડબ્રહ્મા સ્થિત નાના અંબાજીના દર્શને આવતા ભક્તો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે. એટલું જ નહીં, સાંસદ દ્વારા ખેડબ્રહ્માથી અંબાજી સુધી પણ રેલવે સુવિધા લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે, જેના પર હાલ કાર્યવાહી ગતિમાં છે. ભવિષ્યમાં આ લાઈન અમદાવાદથી વાયા ખેડબ્રહ્મા સીધી અંબાજી સુધી જોડાશે, જેનાથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવશે.

