સાઉથ આફ્રિકા સામેની શરમજનક હાર બાદ ભારતીય ટીમની બેટિંગ રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને નંબર-3 પર રમવા આવેલા તિલક વર્માના વલણથી દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર ભારે નારાજ દેખાયા છે. તેમણે તિલકને તેની જવાબદારીનું ભાન કરાવતા આકરા શબ્દોમાં ટીકા કરી છે.

ગાવસ્કરે લીધો ‘ક્લાસ’: બેજવાબદાર શોટ પર ફટકાર
અમદાવાદમાં રમાયેલા સુપર-8 મુકાબલામાં 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ઈશાન કિશનની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલા તિલક વર્મા પાસેથી પારી સંભાળવાની આશા હતી, પરંતુ તે માત્ર 1 રન બનાવી માર્કો જાનસેનનો શિકાર બન્યો હતો. સુનીલ ગાવસ્કરે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “તિલક સમજદાર બેટ્સમેન છે, પણ તેના અભિગમથી હું નિરાશ છું. રન રેટ 9.5 હતો, 15 નહીં. તમારે થોડો સમય આપવાની જરૂર હતી. અભિષેક રન નહોતો બનાવી રહ્યો, તેથી પાવરપ્લે સુધી પાર્ટનરશિપ કરવાની જવાબદારી તમારી હતી.”
આંકડામાં તિલકનું કથળતું પ્રદર્શન
ચિંતાની વાત એ છે કે દક્ષિણ આફ્રિકા સામે ભૂતકાળમાં શાનદાર રેકોર્ડ ધરાવનાર તિલક આ વર્લ્ડ કપમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. આ પહેલા તેણે આફ્રિકા સામે 70.85ની એવરેજથી 496 રન બનાવ્યા હતા, જેમાં બે સદી પણ સામેલ હતી. જોકે, વર્તમાન ટૂર્નામેન્ટની 5 મેચમાં તે માત્ર 107 રન જ બનાવી શક્યો છે, જે તેની ક્ષમતા કરતા ઘણું ઓછું પ્રદર્શન છે.
શું સંજુ સેમસનની થશે વાપસી?
ટોપ ઓર્ડરની સતત નિષ્ફળતા બાદ હવે ટીમમાં ફેરફારના સંકેત મળી રહ્યા છે. સહાયક કોચ રયાન ટેન ડોશેટે સંકેત આપ્યા છે કે આગામી મેચોમાં તિલક વર્માના સ્થાને સંજુ સેમસનને તક આપવામાં આવી શકે છે. સેમસને નામિબિયા સામે આક્રમક બેટિંગ કરીને પોતાની લય બતાવી હતી. હવે જીમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક મેચોમાં ટીમ મેનેજમેન્ટ કેવા ફેરફાર કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

