ટી20 વર્લ્ડકપમાં ભારત ટીમની આખરે સેમિફાઈનલ સુધી પહોંચી ગઈ છે. સુપર-4માં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ હાઈવૉલ્ટેજ મેચ રમાશે. તે પહેલા ચોથી માર્ચે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની મેચ રમાશે. જોકે આ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની 5 નબળાઈ જોવા મળી છે. જો ભારતે ફાઈનલ મેચ જીતવી હોય તો તે પહેલા આ 5 ભૂલો સુધારવી જ પડશે.

1. પાવરપ્લેમાં વિકેટોનું પતન
ભારત માટે સૌથી મોટી ચિંતા ટોપ ઓર્ડરની અસ્થિરતા છે. શરૂઆતની 6 ઓવરમાં વિકેટ પડવાથી ટીમ પર પ્રેશર વધી જાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામે અભિષેક શર્મા અને ઈશાન કિશન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. સંજુ સેમસને બાજી સંભાળી એટલે ભારત બચી ગયું, પણ ઈંગ્લેન્ડના આક્રમક બોલરો સામે આવી ભૂલ પરવડે તેમ નથી.
2. કેપ્ટનનું બેટ શાંત
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ જ લયમાં નથી. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે તે માત્ર 18-18 રન જ બનાવી શક્યો. નોકઆઉટ મેચોમાં જો કેપ્ટન સૂર્યા મોટી ઈનિંગ નહીં રમે, તો ભારત મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
3. બુમરાહ પર અતિશય નિર્ભરતા
જસપ્રીત બુમરાહ સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે, પરંતુ માત્ર એક બોલરના જોરે ટુર્નામેન્ટ જીતી શકાતી નથી. અર્શદીપ સિંહ ડેથ ઓવરોમાં મોંઘો સાબિત થઈ રહ્યો છે, જ્યારે વરુણ ચક્રવર્તીએ પણ સુપર-8માં ઘણા રન લૂંટાવ્યા છે.
4. નબળી ફિલ્ડિંગ
ભારતીય ટીમની ફિલ્ડિંગ આ ટુર્નામેન્ટમાં બહુ ખાસ નથી રહી. ટીમે અત્યાર સુધીમાં 13 કેચ છોડ્યા છે, જે સુપર-8ની તમામ ટીમોમાં સૌથી વધુ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ત્રણ કેચ છૂટ્યા હતા. સેમીફાઈનલમાં એક કેચ મેચનું પાસું પલટી શકે છે.
5. અભિષેક શર્માનું ખરાબ ફોર્મ
ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્મા પાસેથી ઝડપી શરૂઆતની આશા છે, પરંતુ તે સતત નિષ્ફળ રહ્યો છે. ટુર્નામેન્ટમાં ત્રણ વખત તો તે 0 પર આઉટ થઈ ગયો. જો તે પાવરપ્લેમાં ટકીને રમશે, તો જ મિડલ ઓર્ડર પરથી દબાણ ઓછું થશે.

