મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યાં અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર મોટા પાયે મિસાઈમ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ અને અનેક ટોચના સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. આ ઘટનાએ સમગ્ર મધ્ય પૂર્વને યુદ્ધની આગમાં ધકેલી દીધું છે અને ઈરાને જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલ અને ખાડી દેશોમાં અમેરિકન ઠેકાણા પર હુમલા શરૂ કરી દીધા છે. જેની અસર હવે ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ પર પણ પડી છે.

ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ભારતમાં ફસાઈ આ દેશની ક્રિકેટ ટીમ
T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનેની ટીમ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ભારતથી સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ પશ્ચિમ એશિયામાં એરસ્પેસ બંધ હોવાને કારણે તેમની વાપસીમાં વિલંબ થયો છે. ઝિમ્બાબ્વેએ રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની છેલ્લી મેચ રમી હતી, જેમાં તે હારી ગયું હતું. સુપર 8 રાઉન્ડમાંથી બહાર થયા બાદ ટીમનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે.
હાલમાં ભારતમાં જ રોકાશે ટીમ
યોજના પ્રમાણે ટીમ સોમવાર સવારથી અલગ-અલગ બેચમાં દિલ્હીથી પરત હરારે જવા માટે રવાના થવાની હતી. તેઓ એમિરેટ્સ એરલાઈન્સની ફ્લાઇટમાં દિલ્હીથી વાયા દુબઈ કનેક્ટિંગ ફ્લાઈટથી સ્વેદશ જવાની હતી. કેટલાક સભ્યો સવારે 4:30 વાગ્યે જ રવાના થવાના હતા, જ્યારે અન્ય લોકો દિવસ દરમિયાન જવાના હતા. જોકે, ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પછી પરિસ્થિતિ વણસી ગઈ છે. દુબઈ જેવા મુખ્ય પરિવહન હબ પ્રભાવિત થયા છે, જ્યાંથી મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અથવા રીરૂટ કરવામાં આવી છે, જેના કારણે ઝિમ્બાબ્વે ટીમને પરત ફરવામાં વિલંબ થયો છે.
4 માર્ચ સુધી હોટલમાં રહેવાની વ્યવસ્થા
ઝિમ્બાબ્વેની ટીમ હાલમાં દિલ્હીમાં જ રોકાઈ રહી છે. 4 માર્ચ સુધી તેમના માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ICCએ સ્થિતિ પર ધ્યાન રાખતા કન્ટીજેન્સી પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. ટુર્નામેન્ટના આયોજકો વૈકલ્પિક રૂટ અને એરલાઈન્સની તલાશમાં છે, જેમ કે યુરોપિયન, દક્ષિણ એશિયન અથવા દક્ષિણપૂર્વ એશિયન હબથી રસ્તો કાઢી શકાય. ICCએ ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક પણ શરૂ કર્યું છે અને રીઅલ-ટાઈમ અપડેટ્સ મેળવવા માટે સુરક્ષા સલાહકારો સાથે કામ કરી રહ્યું છે.

