ટીમ ઈન્ડિયાએ કુલ 8 વાર ICC ટ્રોફી જીતી છે, જેમાંથી એક ટ્રોફી શેર થઈ છે. બે વનડે વર્લ્ડ કપ, 3 ચેમ્પિયન્સ ટ્રોફી અને 3 ટી20 વર્લ્ડ કપ ભારતીય પુરુષ ટીમના કેબિનેટમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતીય ટીમે અડધા ડઝનથી વધુ ICC ટ્રોફી જીતી છે, પરંતુ ગૌતમ ગંભીર એકમાત્ર એવા કોચ છે જેના કોચિંગ હેઠળ ભારતે માત્ર એક જ નહીં, પરંતુ બે ICC ટ્રોફી જીતી છે. આમ ગૌતમ ગંભીરે ઈતિહાસ રચી દીધો છે.

કોચ નહીં જાદૂગર છે ગંભીર
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના કોચ નહીં, પરંતુ જાદૂગર છે. જો ટેસ્ટ ફોર્મેટને છોડી દઈએ તો વ્હાઈટ બોલ ક્રિકેટમાં તેનાથી શ્રેષ્ઠ કોચ ભારતને કદાચ નથી મળ્યો. છેલ્લા 13-14 મહિનામાં ગૌતમ ગંભીરે બે વાર ટીમ ઈન્ડિયાને ICC ટ્રોફી અપાવી છે. તે પણ બે અલગ-અલગ કેપ્ટન સાથે. ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે.વર્ષ 1983માં ભારત વર્લ્ડ કપ વિજેતા બન્યું હતું, પરંતુ તે સમયે ટીમના કોચ નહીં, પરંતુ મેનેજર પીઆર માન સિંહ હતા. ત્યારબાદ ભારતે વર્ષ 2002માં શ્રીલંકા સાથે ICC ટ્રોફી શેર કરી હતી. તે સમયે ટીમના કોચ જોન રાઈટ હતા. વર્ષ 2007માં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે કોચ લાલચંદ રાજપૂત હતા. વર્ષ 2011માં ભારતે ફરીથી વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે કોચ ગેરી કર્સ્ટન હતા.
એક માત્ર કોચ બન્યો ગંભીર જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા બે ICC ટ્રોફી જીતી
2013માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. તે સમયે ડંકન ફ્લેચર ટીમ ઈન્ડિયાના કોચ હતા. ત્યારબાદ 2024માં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની હતી. તે સમયે રાહુલ દ્રવિડ હેડ કોચ હતા. ટીમ ઈન્ડિયાએ 2025માં ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને હવે પણ ગૌતમ ગંભીરના જ કોચિંગ હેઠળ જ 2026માં T20 વર્લ્ડ કપ પણ જીત્યો છે. આમ ગૌતમ ગંભીર ભારતને બે ICC ટ્રોફી જીતાડનાર પ્રથમ અને એકમાત્ર કોચ છે.

