ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે બાદ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને લઈને મોટો સવાલ ઊભો થયો છે. ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરને બેટિંગ કરવા મોકલવાના નિર્ણય પર હવે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. કૈફે આ નિર્ણયને ખોટો ગણાવતા હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટના ડબલ સ્ટાન્ડર્ડ પર સવાલ ઉઠાવ્યા છે.

વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરવા ઉતર્યો
વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતને 301 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મેચના મહત્વપૂર્ણ તબક્કામાં વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો. સુંદરે 7 બોલમાં અણનમ 7 રન બનાવ્યા અને કેએલ રાહુલ સાથે મળીને ભારતને જીત સુધી પહોંચાડ્યું. જોકે, મેચ બાદ તરત જ સુંદરને આખી સીરિઝમાંથી બહાર કરી દીધો અને તેના સ્થાને આયુષ બદોનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.
ગિલને આરામ અપાયો તો સુંદરને કેમ નહીં?
મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર આ સમગ્ર મામલે વાત કરતા ટીમ મેનેજમેન્ટ પર ડબલ સ્ટાન્ડર્ડ અપનાવવાનો આરોપ લગાવ્યો. કૈફે યાદ અપાવ્યું કે, જ્યારે શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં ઘાયલ થયો હતો, ત્યારે તેને સંપૂર્ણ આરામ આપવામાં આવ્યો હતો. ગિલ કોલકાતા ટેસ્ટમાં બેટિંગ કરવા માટે નહોતો ઉતર્યો, જોકે ટીમને 20-30 રનની જરૂર હતી. તેની ઈજામાં વધારો ન થાય તે માટે આવું કરવામાં આવ્યું હતું. કૈફના મતે વોશિંગ્ટન સુંદરના કિસ્સામાં આ જ અભિગમ અપનાવવામાં ન આવ્યો, જે ખોટું છે.
બીજો વિકલ્પ હતો
કૈફનું માનવું છે કે તે સમયે ટીમ પાસે અન્ય વિકલ્પો હતા. જો રન રેટ બોલ દીઠ આસપાસ હતો, તો કુલદીપ યાદવ, સિરાજ અથવા પ્રસિદ્ધ કૃષ્ણા જેવા કોઈ પણ ખેલાડીને મોકલી શકાયા હોત. ઈજાગ્રસ્ત ખેલાડીને ફક્ત ત્યારે જ મોકલવો જોઈએ જ્યારે અન્ય કોઈ વિકલ્પ ન હોય.

