દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુપરસ્ટાર બેટર એબી ડિવિલિયર્સે આગામી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારતીય ટીમની શક્યતાઓ પર ચર્ચા કરી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટીમનું વિશ્લેષણ કરતા ડિવિલિયર્સે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ભારતનો સૌથી નિર્ણાયક ખેલાડી ગણાવ્યો છે.

ઓલરાઉન્ડર્સની ભૂમિકા સૌથી મહત્ત્વની
ડિવિલિયર્સના મતે, વર્તમાન ભારતીય ટીમમાં એવા અનેક ખેલાડીઓ છે જે બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે છે. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ પાસે સંતુલન સાથે પ્રયોગ કરવાના ઘણા વિકલ્પો છે. તેમણે ઉમેર્યું કે ઓલરાઉન્ડરોની હાજરી ટીમને અલગ-અલગ પરિસ્થિતિઓમાં ઢળવાની આઝાદી આપે છે.
કોણ હશે ટીમમાં અને કોણ રહેશે ‘અનલકી’?
ટીમ કોમ્બિનેશન અંગે ચર્ચા કરતા ડિવિલિયર્સે જણાવ્યું હતું કે, ‘આગામી વર્લ્ડ કપમાં અભિષેક શર્મા ઓપનિંગમાં અને સંજૂ સેમસન વિકેટકીપરની મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે, તેમણે આશ્ચર્યજનક રીતે કેટલાક દિગ્ગજ નામો ભારતીય ટીમમાંથી બાકાત રહેવાની આશંકા પણ વ્યક્ત કરી છે. ડિવિલિયર્સના મતે, રીષભ પંત, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને જીતેશ શર્મા જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ આ વખતે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી શકે છે, અને તેઓ પસંદગીની દ્રષ્ટિએ ‘અનલકી’ સાબિત થઈ શકે છે.હાર્દિક પંડ્યા કેમ છે ખાસ?
એબી ડિવિલિયર્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘હાર્દિક પંડ્યા આગામી સમયમાં ટીમ ઈન્ડિયા માટે સાચો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. હાર્દિકના વખાણ કરતા તેણે કહ્યું કે, ‘હાર્દિક પંડ્યા કોઈપણ ક્રમ પર બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને મેદાન પર ઉતરતાની સાથે જ વિરોધી બોલરો પર દબાણ લાવે છે. માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ તે મેચના કોઈપણ તબક્કે ઓવર નાખી શકે છે અને મહત્ત્વની ભાગીદારી તોડવામાં માહિર છે. ડિવિલિયર્સના મતે, હાર્દિક એક એવો મેચ-વિનર છે જે એકલે હાથે રમતનું પાસું પલટી શકે છે; જો તે થોડી ઓવર પણ ક્રિઝ પર ટકી જાય, તો મેચ વિરોધી ટીમના હાથમાંથી છીનવી શકે છે.
