ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં T20 વર્લ્ડ કપ મેચ યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન સરકારે તેમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની તકરાર ક્રિકેટમાં સૌથી તીવ્ર છે. જોકે, મેદાન પર એક્શન પહેલાં જ વાતાવરણ ગરમાયું છે. પાકિસ્તાનના આ નિર્ણય પર પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ પગલું ભારત કરતાં પાકિસ્તાનના ભવિષ્યને વધુ નુકસાન પહોંચાડશે.’ વર્લ્ડ કપ વિવાદ પર કપિલ દેવે કહ્યું કે, ‘પાકિસ્તાનની એક પેઢી બરબાદ થઈ જશે.’

પાકિસ્તાને રવિવારે પુષ્ટિ આપી હતી કે, તે T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. ICC દ્વારા મેચ ભારતની બહાર ખસેડવાની બાંગ્લાદેશની માગને નકારી કાઢ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કપિલ દેવે પાકિસ્તાન પર કર્યા પ્રહાર
મીડિયા ઇન્ટરવ્યુમાં કપિલ દેવે પાકિસ્તાનના વલણ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. 1983ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટને કહ્યું કે, આ મુદ્દો ફક્ત રાજકારણ કે છબી પૂરતો મર્યાદિત નથી પરંતુ યુવા ક્રિકેટરોના કારકિર્દી પર સીધી અસર કરે છે.
તેમણે કહ્યું કે, ‘જો ખેલાડીઓએ આ નિર્ણય લીધો હોય તો તેઓ સામે આવીને કહી શકે છે. પરંતુ જો બોર્ડ કહે કે તમે નહીં રમો, તો તેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે. વારંવાર ખસી જવાથી અને બહિષ્કાર કરવાથી પાકિસ્તાન ક્રિકેટ અલગ પડી જશે. પાકિસ્તાન માટે સ્થિતિ સારી દેખાતી નથી. તમે એક આખી પેઢીનો બરબાદ કરી રહ્યા છો.’
