SPORTS : ભારત સામે પરાજય બાદ પાકિસ્તાનના રાજકારણમાં પણ ડખા! નકવી પર ભડક્યા મુનિર

0
24
meetarticle

ભારત સામે પાકિસ્તાનની હાર બાદ ત્યાં હોબાળો મચી ગયો છે. જે ખેલાડીઓ ફેવરિટ હતા, હવે તેમની ટીકા થઈ રહી છે. સૌથી મોટો વિવાદ સરકારમાં સર્જાયો છે, જ્યાં હારને કારણે આર્મી ચીફ આસિમ મુનીર અને PCB ચીફ મોહસિન નકવી સામસામે આવી ગયા છે. આ હાર હવે માત્ર રમત પૂરતી મર્યાદિત ન રહેતા સત્તાના ગલિયારાઓમાં મોટી તિરાડમાં ફેરવાઈ ગઈ છે.

વિવાદનું મુખ્ય કારણ: નકવીનું નિવેદન

આ વિવાદનું મૂળ માત્ર ભારત સામેની હાર નથી, પરંતુ મોહસિન નકવીએ PSLની પ્રેસ કોન્ફરન્સમાં આપેલું તે નિવેદન છે જેણે અસલી આગ લગાડી છે. ICCની ધમકી સામે પડકાર ફેંકતી વખતે નકવીએ બિનજરૂરી રીતે જનરલ મુનીરનું નામ વચ્ચે લાવવાની ભૂલ કરી હતી. તેમણે જાહેરમાં એવું કહી દીધું હતું કે, ‘પાકિસ્તાન સરકાર કોઈનાથી ડરતી નથી અને ફીલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીર પણ ક્યારેય પીછેહઠ કરતા નથી.

રાવલપિંડીમાં ભારે રોષ અને નારાજગી

નકવીના આ વિવાદાસ્પદ નિવેદનથી રાવલપિંડી સ્થિત સેનાના મુખ્યાલયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સેનાના સૂત્રો મુજબ, જનરલ મુનીરની નારાજગીનું મુખ્ય કારણ એ છે કે, જે બાબત માત્ર ક્રિકેટ અને વહીવટ પૂરતી સીમિત હતી, તેમાં તેમને બિનજરૂરી રીતે ઢસેડવામાં આવ્યા. પાકિસ્તાની રાજનીતિમાં સેના પ્રમુખની મંજૂરી વિના તેમનું નામ વાપરવું એ ગંભીર મર્યાદા ભંગ ગણાય છે.

ભારત સામેની હારે બળતામાં ઘી હોમ્યું

ભારત સામેની હારે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાકિસ્તાની સેના, જનતા અને રાજકારણીઓ માટે ભારત સામેની મેચ માત્ર રમત નહીં પણ ‘ઈજ્જતનો સવાલ’ હોય છે, જેમાં હારનો સ્વીકાર યુદ્ધમાં હાર સમાન ગણાય છે. જનરલ મુનીરે વડાપ્રધાનના આર્મી સેક્રેટરી મારફતે પોતાની ગંભીર નારાજગી વ્યક્ત કરી છે, જેમાં ટીમની નબળી તૈયારીઓ અને નકવીના બિનજરૂરી નિવેદનોને જવાબદાર ઠેરવ્યા છે.

શોએબ અખ્તરનો આકરો પ્રહાર

પૂર્વ બોલર શોએબ અખ્તરે લાઈવ ટીવી પર મોહસિન નકવીને ‘અસમર્થ’ અને ‘અજ્ઞાની’ ગણાવતા કહ્યું કે, જે વ્યક્તિને ક્રિકેટની કંઈ ખબર નથી તેને અધ્યક્ષ બનાવવો એ મોટો ગુનો છે. અખ્તરે નકવીના નેતૃત્વ હેઠળ પાકિસ્તાન ક્રિકેટની બરબાદી થવાની ભીતિ વ્યક્ત કરી છે.

નકવીના પદ પર સંકટ

ભારત સામેની હાર અને સેના પ્રમુખની નારાજગી બાદ ઈસ્લામાબાદમાં નકવીના ભવિષ્ય અંગે અટકળો તેજ થઈ છે. ચર્ચા છે કે, વડાપ્રધાન શહેબાઝ શરીફ ટૂંક સમયમાં પીસીબીના અધ્યક્ષ પદેથી નકવીની રજા કરી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here