ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહ (Rinku Singh) ને પારિવારિક કારણોસર ટી20 વર્લ્ડ કપ 2026ની વચ્ચે જ સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. તેનું મુખ્ય કારણ તેમના પિતા ખાનચંદ્ર સિંહ (Khanchandra Singh) ની તબિયત લથડી હતી. તેઓ હાલમાં ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે.

પિતા લિવર કેન્સર સામે લડી રહ્યા છે
અહેવાલ મુજબ, રિંકુ સિંહના પિતા લિવર કેન્સરથી પીડાઈ રહ્યા છે. હાલત વધુ બગડતા તેમને વેન્ટિલેટર પર છે. આ સમાચાર મળતા જ રિંકુ 24 ફેબ્રુઆરીએ ચેન્નાઈથી દિલ્હી પહોંચ્યો હતો અને ત્યાંથી સીધો હોસ્પિટલ જઈ પિતાની મુલાકાત લીધી હતી.
ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા ટીમમાં વાપસીની શક્યતા
પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ, રિંકુ હવે ફરીથી ટીમ સાથે જોડાવા તૈયાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તે 25 ફેબ્રુઆરી (બુધવાર) ના રોજ ચેન્નાઈ પરત ફરશે અને ગુરુવારે (26 ફેબ્રુઆરી) ઝિમ્બાબ્વે સામે રમાનારી મહત્ત્વની સુપર-8 મેચ માટે સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે.
રિંકુ સામે મુખ્ય પડકારો
પિતાની તબિયતને કારણે રિંકુ ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશનમાં ભાગ લઈ શક્યો નથી. તેના રમવા પરનો અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે. આ ઉપરાંત રિંકુ માટે આ વર્લ્ડ કપ અત્યાર સુધી ખાસ રહ્યો નથી. 5 ઇનિંગ્સમાં તેણે માત્ર 24 રન બનાવ્યા છે, જેમાં દક્ષિણ આફ્રિકા સામે તે શૂન્ય રને આઉટ થયો હતો. જો રિંકુ મેચ ફિટ ન હોય અથવા ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપવા માંગતું હોય, તો તેના સ્થાને સંજુ સેમસન (Sanju Samson) ને તક મળી શકે છે.
વ્યૂહાત્મક સમસ્યા
ભારતીય ટીમમાં ડાબા હાથના બેટ્સમેનોની સંખ્યા વધુ હોવાથી વિરોધી ટીમો ઑફ-સ્પિનર્સનો વધુ ઉપયોગ કરી રહી છે. આથી ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર થવાની પૂરી સંભાવના છે.

