T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 10 માર્ચ, મંગળવારના રોજ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ માતબર રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમને 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેની સરખામણીએ આ વખતે 6 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સતત બીજી વાર ટાઈટલ જીતી રચ્યો ઈતિહાસ
ભારતીય ટીમે રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ જીત સાથે ભારત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બીજી વાર ખિતાબ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ભારતે પોતાનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે.T20 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ: ભારત
આ શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 વાર(2007, 2024 અને 2026) આ ટ્રોફી જીતી છે. અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ અને ઈંગ્લેન્ડ 2-2 વાર આ ખિતાબ જીતી ચૂક્યા છે, પરંતુ હવે ભારત 3 ખિતાબ સાથે મોખરે છે. BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ જીત ભારતીય ક્રિકેટ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.

