ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે ઉત્તર પ્રદેશ સરકારનો સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ રીજનલ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે ખુદની નિમણૂક કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય સરકારનો આભાર માનતા તેને પોતાના માટે સન્માનની વાત ગણાવી છે.

રિંકુએ આ જવાબદારી આપવા બદલ સરકારનો આભાર માન્યો
સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયો મેસેજમાં રિંકુએ આ જવાબદારી આપવા બદલ સરકારનો આભાર માન્યો છે. તેણે 3 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવા બદલ પણ સરકારનો આભાર માન્યો. રિંકુએ કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મને 3 કરોડના પુરસ્કાર અને રીજનલ સ્પોર્ટ્સ ઓફિસરની જવાબદારી આપવા બદલ હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભારી છું.
‘આ કારણોસર નિમણૂક પત્ર લેવા ન આવ્યો રિંકુ સિંહ
બીજી તરફ તેણે ખુલાસો કર્યો કે, ‘હું ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝીના કેમ્પમાં વ્યસ્ત હોવાના કારણે નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં હાજરી ન આપી શક્યો. હું ટૂંક સમયમાં લખનઉ પહોંચીને તેમનો નિમણૂક પત્ર પ્રાપ્ત કરી લઈશ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લઈશ.’
રાજ્યના રમતગમત નિર્દેશક આર.પી. સિંહે જણાવ્યું કે, રિંકુ IPL પ્રતિબદ્ધતાઓના કારણે સમારોહમાં સામેલ નથી થઈ શક્યો, પરંતુ તેણે પહેલાથી જ આભાર વ્યક્ત કરી લીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે, રિંકુને સમય મળશે ત્યારે લખનઉમાં રમતગમત નિર્દેશાલય કાર્યાલયમાં જોડવામાં આવશે.
રમતગમત નિર્દેશકના જણાવ્યા પ્રમાણે રિંકુ સિંહને તેની યોગ્યતા પ્રમાણે જવાબદારીઓ સોંપવામાં આવશે, જેથી તેઓ ભારતીય ક્રિકેટમાં યોગદાન આપવાની સાથે-સાથે વહીવટી ભૂમિકા પણ નિભાવી શકે.
રિંકુ સિંહના પિતાનું નિધન
રિંકુ સિંહ તાજેતરમાં જ ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહ્યો હતો. આ ટુર્નામેન્ટ દરમિયાન તેમના પિતાનું પણ નિધન થઈ ગયું હતું. તે પિતાના અંતિમ સંસ્કાર માટે અલીગઢ ગયો અને પછી ફરીથી ટીમમાં જોડાયો હતો.
રિંકુ સિંહની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં
રિંકુ સિંહની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં છે. તેણે મછલીશહરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે રિંકુ સમારોહમાં હાજરી આપવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ હાજર નથી રહી શક્યા.

