SPORTS : 77 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ ગંભીરની ‘એક સલાહ’થી બદલાઈ મેચ, કેપ્ટન સૂર્યાનો ખુલાસો

0
12
meetarticle

ટી20 વર્લ્ડ કપ 2026ની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 29 રનથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે. આ જીતના અસલી હીરો કેપ્ટન સૂર્યકુમાર યાદવ રહ્યા હતા, જેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં અણનમ 84 રન ફટકારીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

ગૌતમ ગંભીરનો એ ‘માસ્ટર પ્લાન’

મેચ બાદ સૂર્યકુમાર યાદવે પોતાની જીતનું રહસ્ય ખોલતા જણાવ્યું કે, જ્યારે ટીમ સંકટમાં હતી ત્યારે કોચ ગૌતમ ગંભીરે તેને એક જ વાત કહી હતી – “બસ અંત સુધી ટકી રહેજે, રન તો પછી પણ બની જશે”. સૂર્યાએ સ્વીકાર્યું કે આ વિકેટ 180-190 રનની નહોતી, પણ 140 રનની હતી. મુંબઈના મેદાનનો બહોળો અનુભવ હોવાથી તેને વિશ્વાસ હતો કે જો તે છેલ્લે સુધી રમશે તો સ્કોરબોર્ડ પર મોટો ફેરફાર કરી શકશે.

77 રનમાં 6 વિકેટ: દબાણ વચ્ચે ધૈર્યની કસોટી

ભારતની સ્થિતિ એક સમયે અત્યંત ખરાબ હતી, જ્યારે માત્ર 77 રનમાં 6 મુખ્ય બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. સૂર્યા છઠ્ઠી ઓવરમાં જ બેટિંગમાં આવી ગયો હતો અને શરૂઆતમાં ઘણો ધીમો રહ્યો હતો. તેણે પ્રથમ 13 બોલમાં માત્ર 7 રન જ બનાવ્યા હતા. જોકે, અમેરિકન ફિલ્ડર શુભમ રંજને સૂર્યાનો કેચ છોડ્યો જે અમેરિકાને ભારે પડ્યો. ત્યારબાદ સૂર્યાએ ગિયર બદલ્યો અને 36 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.

ઐતિહાસિક રેકોર્ડ અને નેત્રવલકરની મોંઘી ઓવર

સૂર્યાએ છેલ્લી ઓવરમાં સૌરભ નેત્રવલકરની એવી ધોલાઈ કરી કે તેણે 4 ઓવરમાં 65 રન ખર્ચ્યા, જે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસના સૌથી મોંઘા સ્પેલમાંનો એક છે. આ શાનદાર ઇનિંગ સાથે સૂર્યા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય કેપ્ટન તરીકે બીજો સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી બન્યો છે. માત્ર ક્રિસ ગેલ (88 રન) જ કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં સૂર્યા કરતા આગળ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here