ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ મેચમાં અમેરિકા (USA) સામે શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજે પોતાની અણધારી એન્ટ્રી અંગેના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. સિરાજ, જે આ ટુર્નામેન્ટ રમવાની આશા છોડી ચૂક્યો હતો, તેની કિસ્મત કેપ્ટન સૂર્યકુમાર યાદવના એક ફોનકોલે બદલી નાખી.

જ્યારે સિરાજને લાગ્યું કે સૂર્યા મજાક કરી રહ્યા છે
મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં મોહમ્મદ સિરાજે જણાવ્યું કે, “હું ટુર્નામેન્ટ રમવાની આશા છોડી ચૂક્યો હતો કારણ કે છેલ્લા એક વર્ષથી મને આ ફોર્મેટમાં તક મળી ન હતી. હું 15 તારીખે રિયલ મેડ્રિડની મેચ જોવાની અને ત્યારબાદ રમઝાન માટે પરિવાર સાથે રહેવાની તૈયારીમાં હતો. પરંતુ અચાનક સૂર્યા ભાઈનો ફોન આવ્યો અને તેમણે મને બેગ પેક કરીને મુંબઈ આવવા કહ્યું. મેં તેમને કહ્યું કે ‘ભાઈ મજાક ના કરો’, પણ તેઓ ગંભીર હતા. મારા માટે પ્લેન પર બેસવું પણ એક સ્વપ્ન જેવું લાગતું હતું”.
રણજી ટ્રોફીનો અનુભવ કામ લાગ્યો
જસપ્રીત બુમરાહ બીમાર પડતા સિરાજને સીધું જ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું. પોતાની બોલિંગ વ્યૂહરચના અંગે સિરાજે કહ્યું કે, “મેં એ જ લાઇન અને લેન્થ પર બોલિંગ કરી જે હું રણજી ટ્રોફીમાં કરી રહ્યો હતો. મને અહેસાસ થયો કે નવા બોલથી શોટ મારવા સહેલા નથી, એટલે મેં વિકેટ-ટુ-વિકેટ બોલિંગ કરવાનો પ્લાન બનાવ્યો અને મને સફળતા મળી”.
નસીબનો ખેલ
સિરાજે વધુમાં ઉમેર્યું કે જે ભગવાને લખ્યું છે તે જ થાય છે. જ્યાં એક તરફ તે ફૂટબોલ મેચ જોવાની તૈયારીમાં હતો, ત્યાં કુદરતે તેને વર્લ્ડ કપના મેદાન પર લાવીને ઉભો કરી દીધો. બુમરાહની ગેરહાજરીમાં સિરાજે જે રીતે જવાબદારી નિભાવી તેનાથી ભારતીય ફેન્સ અને મેનેજમેન્ટમાં ખુશીની લહેર છે.

