ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, જુલાઈ અને ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન ગેરકાયદે ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના કુલ ૪૦ કેસ નોંધીને રૂ. ૯૮.૭૨ લાખની રોયલ્ટીની વસૂલાત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વ હેઠળ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીનો ફીલ્ડ સ્ટાફ સતત આકસ્મિક તપાસણીઓ કરી રહ્યો છે. આ કામગીરીમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પણ સહયોગ આપી રહ્યા છે. બિનઅધિકૃત ખાણકામ, વહન અને સંગ્રહના કિસ્સાઓમાં ગુજરાત ખનિજ નિયમો-૨૦૧૭ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે.
કચેરીની તપાસ ટીમ નિયમિતપણે ખનિજનું વહન કરતા વાહનોનું ચેકિંગ અને લીઝની જગ્યાઓનું નિરીક્ષણ કરે છે. જે ગુનેગારો દંડની રકમ ભરવા તૈયાર નથી, તેમની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. આ ઝુંબેશથી રાજ્ય સરકારની તિજોરીમાં નોંધપાત્ર આવક થઈ છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે જેથી જિલ્લામાં ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય.


