ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના પ્રયાસો યથાવત છે, ત્યારે ગઈકાલે ફરી એક દુઃખદ ઘટના બનતા અટકી ગઈ હતી. એક પરણિત મહિલાએ નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક રિક્ષાચાલક અને અન્ય રાહદારીઓની સમયસૂચકતા અને સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરના સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રિજ પર ચિંતાગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. આત્મહત્યાના ઈરાદે તે નદીમાં કૂદવા જઈ રહી હતી તે સમયે જ ત્યાંથી પસાર થઈ રહેલા એક રિક્ષાચાલક અને અન્ય રાહદારીઓએ તેને જોઈ હતી. તેઓએ તુરંત જ સતર્કતા દાખવીને મહિલાને બચાવવા માટેના ઝડપથી પગલાં લીધાં હતા.
આ રિક્ષાચાલક અને રાહદારીઓએ સમયસર અને સાવચેતીપૂર્વક મહિલાને પકડી લઈ નદીમાં ભૂસકો મારતા અટકાવી હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ વિભાગને કરવામાં આવતા પોલીસ ટીમ પણ સમયસર ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાને સુરક્ષિત રીતે બ્રિજ પરથી નીચે ઉતારી અને પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોનો સંપર્ક કરીને તેને સહીસલામત રીતે તેમના હવાલે કરવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર નર્મદા મૈયા બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી કરી છે. આ કટોકટીભર્યા સમયે મહિલાનો જીવ બચાવવા બદલ રિક્ષાચાલક અને રાહદારીઓની હિંમત અને માનવતાની સરાહના થઈ રહી છે. વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.


