ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ ‘એટોમિડેટ’ને હર્બલ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના નામે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ગેરકાયદે રીતે નિકાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કને ઝડપી પાડ્યું છે. સુરતના ત્રણ વેપારીઓ મુંબઈ એરપોર્ટના એર કાર્ગો મારફતે મલેશિયા અને થાઈલેન્ડમાં આ નશીલા પદાર્થોનો જથ્થો મોકલતા હતા. પોલીસે આ મામલે એક વેપારીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
ATSના DySPએ મળેલી સચોટ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ ડ્રગ્સના કન્સાઈનમેન્ટ પર ‘એલોવેરા પાવડર’, ‘ગિનોપોલ-24 પાવડર’ અને અન્ય હર્બલ પાવડરના ખોટા લેબલ લગાવીને કસ્ટમ્સની નજરથી બચતા હતા. આ માટે તેઓ નકલી શિપિંગ અને કસ્ટમ્સ દસ્તાવેજો પણ તૈયાર કરતા હતા.
સુરતના ત્રણ વેપારીઓના નામ ખૂલ્યા
નિકુંજભાઈ હરેશભાઈ ગઢિયા (ઉં.વ.28): DWN બાયોસાયન્સના માલિક.
ચેતનભાઈ કનુભાઈ વાવડિયા (ઉં.વ.28): રુદ્ર એન્ટરપ્રાઈઝના સંચાલક.
ભૌતિક દામજીભાઈ પદમણી (ઉં.વ.32): જાની ફાર્માના માલિક.
કરોડોનો કાળો કારોબાર
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે:
નિકુંજ ગઢિયાએ આશરે 50 કિલો એટોમિડેટ પાવડર હર્બલ પાવડરના નામે મલેશિયા મોકલ્યું હતું.

ચેતન વાવડિયાએ 50 કિલો પાવડર ‘ગિનોપોલ-24’ના નામે મલેશિયા અને થાઈલેન્ડ એક્સપોર્ટ કર્યું હતું.
ભૌતિક પદમણીએ 25 કિલો ડ્રગ્સ એલોવેરા પાવડર તરીકે મોકલ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત પ્રતિ કિલો 4,000થી 5,000 ડોલર (આશરે 3.30 થી 4.10 લાખ રૂપિયા) હોવાનું મનાય છે.
ATSએ મુંબઈ કસ્ટમ્સ કમિશનરેટ અને કુરિયર કંપની ફેડેક્સનો સંપર્ક કરી શંકાસ્પદ કન્સાઈનમેન્ટ અટકાવ્યા હતા. રામન સ્પેક્ટ્રોસ્કોપી(Raman Spectroscopy) ટેસ્ટ દ્વારા ખાતરી કરવામાં આવી હતી કે જપ્ત કરાયેલો પદાર્થ ખરેખર પ્રતિબંધિત ‘એટોમિડેટ’ પાવડર જ છે. મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં આ ડ્રગ્સ પર કડક પ્રતિબંધ છે.
પૂછપરછમાં આરોપીઓએ મલેશિયાના ડ્રગ્સ કાર્ટેલ સાથે સંકળાયેલા ‘ચુઆ ઝી ઝુઆન’ નામના શખસ સાથેના સંબંધોની કબૂલાત કરી છે. ગુજરાત ATSએ 6 માર્ચના રોજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નિકુંજ ગઢિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
