સુરત શહેરમાં પાલિકાની ફૂડ વિભાગની કામગીરીમાં પારદર્શિતા અને વેગ લાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે ફૂડ વિભાગે પોતાની કામગીરીનો હિસાબ આપવો પડશે.સુરત શહેરમાં ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ રોકવા અને ગુણવત્તા જાળવી રાખવા માટે પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે આકરા તેવર અપનાવ્યા છે. તેમના આદેશ બાદ હવે ફૂડ વિભાગની કામગીરીમાં પારદર્શિતા અને વેગ લાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
ચેરમેન રાજન પટેલના આદેશ અનુસાર, હવે ફૂડ વિભાગે પોતાની કામગીરીનો હિસાબ આપવો પડશે. ફૂડ વિભાગે દરરોજ ક્યાં અને કેટલી તપાસ કરી તેનો વિગતવાર અહેવાલ જાળવવો પડશે. આરોગ્ય વિભાગના વડાએ આ રિપોર્ટ ફરજિયાતપણે તૈયાર કરી જાળવવાનો રહેશે.દર મહિને ફૂડ વિભાગનો ‘પર્ફોમન્સ રિપોર્ટ’ મનપા કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે, જેના આધારે વિભાગની કામગીરીનું મૂલ્યાંકન થશે.

આદેશ મળતાની સાથે જ આજે ફૂડ વિભાગની ટીમો હરકતમાં આવી હતી. શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલી ખાદ્ય સામગ્રી વેચતી સંસ્થાઓ, રેસ્ટોરન્ટ્સ અને ડેરી ફાર્મ્સમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વિભાગ દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
