સુરતમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં રવિવારે (આઠમી ફેબ્રુઆરી) વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. આગની ગંભીરતાને જોતા અલગ-અલગ 5 ફાયર સ્ટેશનોથી 20થી વધુ ગાડીઓ અને મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. માર્કેટમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતા, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિનો તાગ મેળવવા માટે ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.સદનસીબે જાનહાનિ ટળી
આગની આ ઘટના રવિવારના દિવસે બની હોવાથી માર્કેટમાં ભીડ ઓછી હતી. વેપારીઓ અને શ્રમિકોની પાંખી હાજરીને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ એફએસએલ (FSL)ની મદદથી આગનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.
