Surat: લાલગેટમાં સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના, અઠવાડિયા પહેલા સાઉદીની યાત્રા કરનાર પરિવારે જીવન ટૂંકાવ્યું
લાલગેટ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. આ ઘટનામાં પતિ, પત્ની અને તેમના કિશોર વયના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે.શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી હરિપુરા સોયા શેરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. અઠવાડિયા પહેલા જ સાઉદી અરેબિયાની ધાર્મિક યાત્રા કરીને પરત ફરેલા પરિવારે ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરતા અનેક રહસ્યો સર્જાયા છે.
સોયા શેરી મહોલ્લામાં રહેતા ફૈઝ અહેમદ અને તેમના પરિવારે આ અંતિમ ડગલું ભર્યું હતું. બનાવની જાણ થતા જ DCP રાઘવ જૈન સહિત લાલગેટ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફૈઝ અહેમદ (36 વર્ષ): પરિવારના મોભી, મુબીના અહેમદ (32 વર્ષ): પત્ની, નોમાન અહેમદ (13 વર્ષ): પુત્ર મૃતકોમાં શામેલ છે.

મૃતક પરિવાર માત્ર 7 દિવસ પહેલા જ સાઉદી અરેબિયાની યાત્રા (ઉમરાહ) કરીને પરત ફર્યો હતો. ઘરે મહેમાનોની અવરજવર અને ખુશીનો માહોલ હતો. પ્રાથમિક અહેવાલો મુજબ પરિવાર કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય એક માહિતી મુજબ તેઓ ટેલરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ વ્યવસાયિક લેતી-દેતીના પાસાને પણ તપાસી રહી છે. પોલીસ ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ કે અંતિમ લખાણ મળી આવે તેની શોધખોળ કરી રહી છે.
પાડોશીઓના જણાવ્યા મુજબ, પરિવાર ખૂબ જ શાંત અને ધાર્મિક પ્રવૃત્તિમાં માનનારો હતો. સાઉદીની પવિત્ર યાત્રાથી આવ્યાના ટૂંકા સમયમાં જ આવું પગલું ભરાતા સોયા શેરી મોહલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
