સુરતના લાલગેટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચકાર મચી ગઈ છે. મૃતક પરિવાર એક સપ્તાહ પહેલા જ સાઉદી અરેબિયાની યાત્રા કરીને પરત આવ્યો હતો.
લાલગેટના હરિપુરા સૌય શેરીમાં પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પી લીધી. જે બાદ 36 વર્ષના ફૈઝ અહેમદ, 32 વર્ષના મુબીના અહેમદ અને તેમના પુત્ર નોમાનનું મોત થયું છે. ફૈઝ અહેમદ કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એકસાથે પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર શેરીમાં માતમનો માહોલ છવાયો હતો. આસપાસના સ્થાનિકોને ઘટનાની જાણ થતાં ગમગીની છવાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આપઘાત પાછળ શું કારણ હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.
