SURAT : આજે વિશ્વ ચકલી દિવસ: કોંક્રિટના જંગલોમાં ખોવાયો ચકલીઓનો કલરવ, શહેરો છોડી ગામડાઓ તરફ ઉડાન ભરી

0
29
meetarticle

એક સમય હતો જ્યારે સુરતના રાંદેર, અડાજણ, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં સવારની શરૂઆત ચકલીના મધુર કલરવથી થતી હતી. પરંતુ સુરત શહેર મેટ્રો સીટી બનવા તરફ જઈ રહ્યું છે અને શહેરની વસ્તી 90 લાખની આસપાસ પહોંચી ગઈ છે. શહેરના વિકાસ સાથે મેટ્રો સીટી સાથે સિમેન્ટ કોંક્રિટના જંગલ બની રહ્યું છે. ત્યારે વિકાસની દોટમાં ચકલીની ચીંચીં સંભળાતી લગભગ બંધ થઈ ગઈ છે. કેટલાક વિસ્તારમાં હજુ ચકલી જોવા મળે છે, પરંતુ ચકલીને રહેવા કે જીવવા લાયક વાતાવરણ નથી તેથી ચકલીઓ હવે ગામડા તરફ જઈ રહી છે. 

વિકાસની દોટમાં ચકલીઓનું રહેઠાણ છીનવાયું

આજે (20 માર્ચ)ના રોજ ચકલી દિવસ ઉજવવામાં આવશે આ દિવસે કેટલાક સેવાભાવી લોકો ચકલીના માળાનું પણ વિતરણ કરે છે. તેનો આ પ્રયાસ સારો છે, પરંતુ ચકલીના રહેઠાણ સાથે સાથે જીવવા લાયક વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. આ અંગે પર્યાવરણ અંગે કામ કરતા દર્શન દેસાઈ કહે છે,  જેવી રીતે શાંત સ્વભાવ લોકો કુદરત સાથે હળીમળીને રહેતા હોય પરંતુ શહેરમાં તેઓ માટે જીવવું મુશ્કેલ બની જાય છે તેવી તેના લાયક જગ્યા રહેતી નથી  તેથી તેઓ ગામડા કે અન્ય જગ્યાએ શાંતિ મળે ત્યાં જતા રહે છે સુરતમાં લગભગ એવું જ ચકલીઓ સાથે થયું છે. ચકલીને રહેવા કે જીવવા લાયક જગ્યા હવે શહેરમાં રહી નથી અને ગામડા તરફ સ્થળાંતર કરી રહી છે. શહેરમાં ચકલીને જીવવા લાયક વાતાવરણ રહ્યું નથી

ચકલીનું રહેઠાણ હોય તેવી જગ્યાની આસપાસ પાણીનો સ્ત્રોત, ધૂળ વાળી જગ્યા, નાના છોડ, કાંટાવાળા છોડ, ઘાંસના તણખલા જેવી વસ્તુ હોવી જરૂરી છે. ચકલીના પીંછાની એવી રચના હોય છે તેથી તેઓ ધૂળ વાળી જગ્યામાં આળોટે છે તેને ડસ્ટ બાથ કહેવામાં આવે છે. તેના પીંછા સફાઈ માટે ડસ્ટ બાથ જરુરી છે. પરંતુ સુરતમાં સીસી રોડ અને ડામર રોડ હોવાથી ધૂળ વાળી જગ્યા ભાગ્યે જ જોવા મળે છે. આ ઉપરાંત માળા બનાવવા માટે ઘાસના તણખલા અને કાંટાવાળા નાના છોડમાંથી મળતો ખોરાક પણ મળતો નથી, જેના કારણે હવે શહેરમાં ચકલીને જીવવા લાયક વાતાવરણ રહ્યું નથી.

ચકલીના રહેઠાણ માટે જૂની ઢબના મકાન ગાયબ થવા લાગતા ચકલીઓ પણ ઘર આંગણેથી દૂર થવા લાગી છે. જૂની ઢબનો નળિયાવાળા મકાનમાં મકાનની દિવાલની તિરાડોમાં અથવા મકાનની બહાર કાઢવામાં આવતી છાજલીઓમાં માળા બનાવતી ચકલીઓને હાલમાં પાકા મકાનમાં માળા બનાવવાની જગ્યાના અભાવે ચકલીઓ ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી ગાયબ થઈ રહી છે.ચકલીને બચાવવા માટે હવે સમાજના દરેક વર્ગે આગળ આવવાની જરૂર છે. શાળાઓ, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક તંત્ર સાથે મળીને કામગીરી કરવાની જરૂર છે. આ માત્ર એક દિવસની ઉજવણી નહીં પરંતુ લાંબા ગાળાનું આયોજન થાય તે વધુ જરૂરી છે. 

સુરતમાંથી ચકલીઓ ગાયબ થવાના મુખ્ય કારણો:

•કોંક્રીટના જંગલો: હાઇરાઇઝ બિલ્ડિંગોને કારણે ચકલીઓને માળો બનાવવા માટે કુદરતી જગ્યા મળતી નથી.

•પરંપરાગત ઘરોનો અભાવ: જૂની ઢબના નળિયાવાળા મકાનો અને દિવાલોની તિરાડો ગાયબ થતા ચકલીઓ ઘર આંગણેથી દૂર થઈ છે.

•ડસ્ટ બાથની સુવિધા નથી: ચકલીના પીંછાની સફાઈ માટે તેને ધૂળમાં આળોટવું પડે છે (ડસ્ટ બાથ), પરંતુ શહેરમાં સીસી રોડ અને ડામર રોડને કારણે ધૂળવાળી જગ્યાઓ રહી નથી.

•ખોરાકની તંગી: કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી ચકલીના ખોરાક એવા નાના જીવજંતુઓ ઓછા થયા છે.

•રેડિએશન અને પ્રદૂષણ: મોબાઈલ ટાવરના રેડિએશન અને વાહનોના ઘોંઘાટ તેમજ ધુમાડાને કારણે ચકલીઓ અસહ્ય સ્થિતિમાં મુકાઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here