હળવદ પંથકમાં ફરી એકવાર સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ-વેગડવા રોડ પર આવેલી ધાંગધ્રા નર્મદા બ્રાન્ચની માઈનોર ડી-૧૮ કેનાલમાં અચાનક મોટું ગાબડું પડતા હજારો લિટર કિંમતી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે.

કેનાલ ઓવરફ્લો થવાને કારણે પાણીનો પ્રવાહ સીધો જાહેર માર્ગો પર ફરી વળ્યો છે, જેના લીધે વાહન વ્યવહારમાં પણ વિક્ષેપ પડયો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેનાલની સમયસર સફાઈ કે જાળવણી ન કરવામાં આવતી હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ પિયત માટે પાણીની જરૃરિયાત છે, ત્યારે બીજી તરફ ગાબડાને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે અને રસ્તાઓ કાદવમય બની ગયા છે. આ કાદવને કારણે ખેડૂતોને પોતાના વાહનો ખેતર સુધી લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે અને ખેડૂતોને પડતી મુશ્કેલીનો અંત લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો ખેતીના કામને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

