વઢવાણ તાલુકાના ખોડુ ગામે અંદાજે ૫૦ વર્ષ જૂની પાણીની ટાંકી અત્યંત જર્જરિત બનતા ગ્રામજનોમાં દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે. ગામમાં ૩૫ વર્ષ અગાઉ જર્જરિત ટાંકી તૂટતા ત્રણના મોત થયા હતા. ત્યારે વાસ્મોના અધિકારીઓએ ટાંકિનું નિરીક્ષણ કરી સંતોષ માનતા ભૂતકાળની દુર્ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ સેવાઇ રહી છે.

સરકાર એક તરફ ‘નલ સે જલ’ જેવી યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ ખોડુ ગામમાં ૧૦,૦૦૦થી વધુ લોકોને પાણી પૂરું પાડતી મુખ્ય ટાંકીના સ્લેબ અને પીલરમાં મોટી તિરાડો પડી ગઈ છે અને લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ૩૫ વર્ષ પહેલા ખોડુ ગામે આવી જ એક પાણીની ટાંકી તૂટી પડતા પાણી ભરી રહેલી ૩ મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા. હાલની ટાંકીના પોપડા સતત નીચે પડી રહ્યા હોવાથી ત્યાંથી પસાર થતા લોકોના જીવ જોખમમાં છે. ફરી આવી કોઈ જાનહાનિ ન થાય તે માટે ગ્રામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે એક વર્ષ પહેલાં વાસમો વિભાગના અધિકારીઓએ આ ટાંકીનું નિરીક્ષણ કર્યું હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૃ કરવામાં આવી નથી. ગ્રામજનોએ આ જર્જરિત ટાંકી ઉતારી તાત્કાલિક નવી ટાંકી બનાવવાની માંગ કરી છે.

