સુરેન્દ્રનગરથી વિરમગામ હાઈવે પર છેલ્લા બે દિવસમાં અલગ અલગ ત્રણ અક્સ્માતના બનાવો સામે આવ્યા છે. કાર ચાલકને બમ્પ નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલક સહિત ૦૫ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

લખતરથી સુરેન્દ્રનગર તરફ ખાનગી કંપનીની કાર જઈ રહી હતી. દરમિયાન કાર ચાલકને બમ્પ નહી દેખાતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝમર ગામના સાઈન બોર્ડ અને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા સાઈન બોર્ડ અને વૃક્ષ બંને નીચે પડી ગયા હતા. જ્યારે કારને નુકસાન પહોંચ્યું હતુ. આ અકસ્માતને પગલે ઝમર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી ૦૫ વ્યક્તિને ભારે જહેમત બાદ બહાર કાઢયા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી તેમજ કારમાં સવાર ચાલક સહિત ૦૫ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસને પણ જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

