અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલ શ્યામાપ્રસાદ મુખરજીનગરના ચાર માળિયામાં ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે.

જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં રહેતા મોહમદશકીલ નામના યુવક પર ગત મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી આસીફ શેખે મોહમદશકીલ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા હુમલો કર્યો હતો. હુમલાખોરે યુવકને ડાબા પગના સાથળના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા અને માથાના ભાગે ઈંટો વડે હુમલો કરતા યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર છે. મૃતક મોહમદશકીલને અગાઉ આરોપી આસીફ શેખના સાળા સદામ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું વેર રાખીને આસીફ શેખે મોહમદશકીલને નિશાન બનાવી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ મૃતકની માતા અને ભાઈ સહિતનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે અને પોલીસે આસીફ શેખ તથા આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખસો સામે તપાસ શરૂ કરી છે.

