અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરીથી ભવ્ય ‘ફ્લાવર શો’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકોના ભારે ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફ્લાવર શોનો સમયગાળો લંબાવીને 22 દિવસનો કરવામાં આવ્યો છે. આશરે 73 હજાર સ્કેવેર મીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ શોમાં 48 અલગ-અલગ પ્રકારના ફૂલોના અંદાજે 10 લાખ જેટલા છોડ દ્વારા અદભૂત સુશોભન કરવામાં આવ્યું છે. આ વર્ષના શોની મુખ્ય થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે, જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય ફૂલ ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે.

અમદાવાદમાં ફૂલોનો મહોત્સવ
ટિકિટના દરોની વાત કરીએ તો, સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા રાખવામાં આવ્યો છે, જ્યારે શનિવાર અને રવિવાર માટે 100 રૂપિયા નક્કી કરાયા છે. જે પ્રવાસીઓ ભીડ વગર શાંતિથી મુલાકાત લેવા માંગતા હોય તેમના માટે 500 રૂપિયાના દરે VIP સ્લોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સામાજિક જવાબદારીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકો, દિવ્યાંગો અને દેશના સૈનિકો માટે પ્રવેશ તદ્દન મફત રાખવામાં આવ્યો છે, જ્યારે ખાનગી શાળાના બાળકો માટે માત્ર 10 રૂપિયા ટોકન ફી રાખવામાં આવી છે. આ ફ્લાવર શોમાં ભારતની સંસ્કૃતિ અને વિકાસની ઝાંખી કરાવતા વિવિધ સ્કલ્પચર્સ પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરશે.
