અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સેવન્થ ડે સ્કૂલ એક વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. આ વખતે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે 3 વિદ્યાર્થીઓ ભેગા મળીને મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. અમરાઈવાડીના પીઆઈ આ મામલાને જોઈ રહ્યા હોવાની જાણકારી છે. આ મામલે પ્રિન્સિપાલ અને એડમિન હેડની બેદરકારી સામે આવ્યાની માહિતી છે. આ મામલે ડીઈઓએ બંનેને નોટિસ ફટકારીને તેમને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવામાં આવ્યા તેને લઇને જવાબ માગ્યો છે.


શું હતી ઘટના?
પોલીસ ફરિયાદ મુજબ સેવન્થ ડે સ્કૂલ છુટ્યા બાદ બધા વિદ્યાર્થીઓને લાઈનબદ્ધ રીતે બહાર નીકળે તે માટે કાર્તિક (નામ બદલેલ છે) નામનો મોનિટર નિર્દેશ આપી રહ્યો હતો. જેના બાદ ત્રણ વિદ્યાર્થીઓ એક લાઈનમાં ચાલતા ન હોવાથી મોનિટરે તેમને લાઈનમાં ચાલવા અથવા સાઈડમાં ઊભા રહી જવાનું કહેતા ત્રણેય તેની સાથે ઝઘડવા લાગ્યા અને તેને ધમકાવા લાગ્યા હતા. ત્યારબાદ સ્કૂલમાંથી બહાર નીકળતી વેળાએ સાયકલ પાર્કિગની બાજુના એરિયામાં આ ત્રણમાંથી બે વિદ્યાર્થીને મોનિટરને કહ્યું કે કાલે તને જોઈ લઈશું. તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મોનિટર ઘરે જતો રહ્યો. જ્યારે બીજા દિવસે સ્કૂલે આશરે 11 વાગ્યે મોનિટર ક્લાસરૂમમાંથી વોશરુમ તરફ નીકળ્યો ત્યારે આ ત્રણ તેની પાછળ ગયા હતા. ત્યાં જ કોલર પકડીને કાર્તિકને ધમકાવ્યો હતો કે તે અમને લાઈનમાંથી બહાર કેમ કર્યા? આ દરમિયાન એકે તેના હાથમાં રહેલી બ્લેડથી મોનિટરના શર્ટના બટન તોડી નાખ્યા અને ધમકી આપી હતી કે હવે પછી આવુ કર્યું તો તને જાનથી મારી નાખીશું એમ કહીને મારામારી શરૂ કરી હતી.
પીડિત વિદ્યાર્થી ક્લાસનો મોનિટર
મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થી પર હુમલો થયો છે તે ક્લાસમાં મોનિટર છે. તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં એન્ટ્રી કરવાનું કહ્યું હતું. જેની અદાવતમાં હુમલો કરાયો હતો. ત્રણ વિદ્યાર્થીઓએ ખાર રાખીને તેને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હાલ સરકાર હસ્તક છે, છતાં પણ શાળા પરિસરમાં આવી હિંસક ઘટના બનતા તંત્રની કામગીરી અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એક તરફ સરકાર દ્વારા શાળાઓમાં શિસ્ત અને ભયમુક્ત વાતાવરણની વાતો કરવામાં આવે છે, ત્યારે ધોરણ 7 જેવા નાના બાળકો વચ્ચે થયેલી આ મારામારીની ઘટનાએ વાલીઓમાં પણ ચિંતા ફેલાવી છે. આ મામલે હવે શાળા તંત્ર કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

