અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મહારાષ્ટ્રના નાગપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એસબીએલ એનર્જી લિમિટેડ (SBL Energy Limited) માં એક ભીષણ વિસ્ફોટ થયો છે. આ દર્દનાક અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નાગપુર ગ્રામીણના એસપી હર્ષ પોદ્દારે આ અંગેની માહિતી આપી હતી. આ વિસ્ફોટ કાટોલ તાલુકાના રાઉલગાંવ સ્થિત ખાણકામ અને ઔદ્યોગિક વિસ્ફોટકો બનાવતી કંપની એસબીએલ એનર્જી લિમિટેડના કારખાનામાં થયો હતો. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટના તરત જ બાદ ઘાયલોને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સવારે કામ દરમિયાન થયો ધડાકો
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના આજે સવારે લગભગ 6 થી 7 વાગ્યાની વચ્ચે બની હતી. રાઉલગાંવ સ્થિત એસબીએલ કંપની ખાણકામમાં વપરાતા વિસ્ફોટકો અને અન્ય સામગ્રી બનાવે છે. સવારે જ્યારે શ્રમિકો કામ પર પરત ફર્યા, ત્યારે વિસ્ફોટક બનાવવાની પ્રક્રિયા દરમિયાન અચાનક જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો.

અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા
પ્રાથમિક માહિતી અનુસાર ધડાકા સમયે કંપનીના તે યુનિટમાં અંદાજે 25 થી 30 શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. અત્યાર સુધીમાં 15 ઘાયલોને બહાર કાઢીને નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, હજુ પણ કેટલાક શ્રમજીવીઓ અંદર ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

