અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં અનેક સૈનિકોના મોત થયા છે. 110 સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-130 વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં શહીદ થનાર સૈનિકોની સંખ્યા વધીને 66 થઈ ગઈ છે.

57 સૈનિકોને જીવિત બચાવાયા: રિપોર્ટમાં દાવો
આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટો લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર 3 કિલોમીટર દૂર હતું. કાટમાળમાંથી અત્યાર સુધીમાં અંદાજે 57 સૈનિકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે.
C-130 હર્ક્યુલસ વિમાન 1950ના દાયકાથી વિશ્વભરમાં સૈન્ય પરિવહનનો મહત્વનો હિસ્સો રહ્યું છે. કોલંબિયા 1960ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ જૂના થતા સૈન્ય સાધનો અને વિમાનોની સુરક્ષા હવે ચિંતાનો વિષય બની છે.
કોલંબિયાના રાષ્ટ્રપતિનું નિવેદન
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આને ગંભીર અકસ્માત ગણાવતા કહ્યું કે, જવાનોની સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો સૈન્ય કે નાગરિક અધિકારીઓ સંસાધનોના આધુનિકીકરણના પડકારને પહોંચી વળવામાં નિષ્ફળ જશે તો તેમને પદ પરથી હટાવવામાં આવશે. તેમણે સેના માટે નવા હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ વિમાન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ તાત્કાલિક ખરીદવા આદેશ આપ્યો છે.

