અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે દશેરાની આજે ગુરુવારે અમદાવાદ શહેરમાં ધામઘૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે રાવણ દહનના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ખોખરા રેલવે ગ્રાઉન્ડ, અમરાઈવાડી નાગરવેલ હનુમાન, સાબરમતી ડી-કેબિન પાસે અને ભાડજ સ્થિત ઈસ્કોન મંદિર ખાતે સાંજે યોજાનારા રાવણ દહનના કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડશે.

ખોખરા રેલવે ગ્રાઉન્ડ, નાગરવેલ હનુમાન, સાબરમતી અને ઈસ્કોન મંદિર સહિતના સ્થળોએ રાવણ દહનના આયોજન
આ વખતે એક તિથિ બે દિવસ સુધી હોવાના કારણે નવરાત્રિ દસ દિવસની હતી. જે આજે પૂર્ણ થયા બાદ આજે (ગુરુવાર) દશેરાનું પર્વ ઉજવવામાં આવશે. અમદાવાદ શહેરના ખોખરા રેલવે ગ્રાઉન્ડ ખાતે લગભગ સાડા છ દસકાથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. આજે (ગુરુવાર) સાંજે અહીં રાવણના 45 ફૂટ ઉંચા પુતળાનું દહન કરાશે. આખા ગુજરાતમાં સૌપ્રથમ અહીં રાવણ દહનની શરુઆત થઈ હોવાનો દાવો આયોજકો કરી રહ્યા છે.
આવી રીતે જ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિર પાસે પણ 45 ફૂટ જેટલી જ ઉંચાઈના રાવણના પુતળાનું દહન કરાશે. આ આયોજન પણ છ દસકા કરતા વધારે સમયથી થાય છે. બંને સ્થળોએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન રામલીલા યોજાય છે. જેમાં અંતિમ દિવસે રાવણ દહન સાથે રામલીલાની પૂર્ણાહુતિ થાય છે. બીજી તરફ સાબરમતી ડી કેબીન પાસે ઉપરાંત ભાડજ સ્થિત ઈસ્કોન મંદિરે સાંજે 6 વાગ્યાથી રામ દરબારના દર્શન, રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ સિવાય ઘણી સોસાયટીઓ તેમજ જાહેર સ્થળોએ પણ રાવણ દહનના નાના-મોટા કાર્યક્રમો સાંજના સમયે રાખવામાં આવ્યા છે.

