રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની અલાસ્કા બેઠકમાં કોઈ પરિણામ ન આવી શક્યા. બંધ રૂમમાં કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં કોઈપણ મુદ્દા પર કોઈ સર્વસંમતિ સધાઈ ન હતી. ભારત પણ આ બેઠક પર નજર રાખી રહ્યું હતું.
ભારત વિશે શું કહ્યું?
આ બેઠક પછી તરત જ ટ્રમ્પનું વલણ બદલાઈ ગયું છે. જ્યારે ભારત પર ટેરિફ અંગે ઉશ્કેરણીજનક નિવેદનો આપનારા ટ્રમ્પને ટેરિફ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હાલમાં તેની કોઈ જરૂર નથી. જો જરૂર પડશે તો, અમે બે થી ત્રણ અઠવાડિયામાં રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર વધારાના ટેરિફ લાદવાનું વિચારી શકીએ છીએ.
ટેરિફ અંગે વલણ બદલાયું!
મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું, “આજે જે બન્યું તે પછી, મારે હમણાં ટેરિફ વિશે વિચારવાની જરૂર નથી. કદાચ આપણે બે કે ત્રણ અઠવાડિયામાં તેના વિશે વિચારવું પડશે, પરંતુ હમણાં નહીં. બેઠક ખૂબ સારી રહી.” ટ્રમ્પે ગયા મહિને રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને રશિયા પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ત્યારપછી, ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો, જે થોડા દિવસો પછી બમણો કરવામાં આવ્યો હતો. આ ટેરિફમાંથી અડધા ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે અને બાકીના 27 ઓગસ્ટથી અમલમાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે રશિયાએ એક મોટો ઓઈલ ગ્રાહક ગુમાવ્યો
અલાસ્કા સમિટ પહેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન, ટ્રમ્પે કહ્યું હતું કે “રશિયાએ એક મોટો ઓઈલ ગ્રાહક ગુમાવ્યો છે.” ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ત્યારપછી તેમણે કહ્યું કે જો વધુ ટેરિફ લાદવામાં આવશે, તો તે રશિયા માટે વિનાશક સાબિત થશે. ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત-અમેરિકા સંબંધો ફક્ત વેપાર પૂરતા મર્યાદિત નથી પરંતુ વ્યાપક વ્યૂહાત્મક સહયોગ પર આધારિત છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કોઈપણ દ્વિપક્ષીય સંબંધને ત્રીજા દેશના દ્રષ્ટિકોણથી ન જોવો જોઈએ.


